રાજકોટ, તા.27 : રીબડાના અનિરુદ્ધાસિંહ જાડેજાની જેલમાં તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોપટ સોરઠિયા હત્યા કેસમાં જેલમાં સજા ભોગવી રહેલા અનિરુદ્ધાસિંહ જાડેજાને હૃદય સંબંધિત તકલીફ ઊભી થતાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા બાદ ચેકઅપ કરી પરત જૂનાગઢ જેલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
પ્રાપ્ત
માહિતી મુજબ, અનિરુદ્ધસિંહનું રાજકોટ સિવિલના યુએન મહેતા ઇન્સ્ટિટયૂટના કાર્ડિયાક વિભાગમાં
ઇસીજી રિપોર્ટ સહિતનું ચેકઅપ થયું હતું. ઓપીડી સારવાર બાદ તેમને પરત જૂનાગઢ જેલમાં
લઈ જવા પોલીસ રવાના થઈ હતી. જુનાગઢ પોલીસનો કાફલો તેમને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલે
પહોંચ્યો હતો. તે સમયે રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ ક્રાઈમ બ્રાન્ચની
ટીમ પણ બંદોબસ્તમાં જોડાઈ હતી.
વર્ષ
1988માં ગોંડલ ખાતે નેતા પોપટ સોરઠિયાની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા થઈ
હતી. જે કેસમાં સુપ્રીમ કોર્ટે જુલાઈ 1997માં અનિરૂદ્ધાસિંહને ગુનેગાર ઠેરવી આજીવન
કેદની સજાનો હુકમ કર્યો હતો. અઢારેક વર્ષ જેલ કાપ્યા બાદ આઈપીએસ ટી.એસ.બિષ્ટે જુનાગઢ
જેલના તત્કાલીન સુપ્રિટેન્ડન્ટને પત્ર લખીને અનિરૂદ્ધાસિંહ જાડેજાને જેલમાંથી છોડી
મુકવા હુકમ કર્યો. જોકે તાજેતરમાં કોર્ટે હુકમ કરતા ગોંડલ કોર્ટમાં હાજર થાય બાદ તેમને
હાલ જૂનાગઢ જેલમાં રાખવામાં આવ્યા છે.