• શનિવાર, 24 મે, 2025

તળાજાના ખોડિયાર મંદિરના ફરી તાળા તૂટયા તસ્કરો ઘર ભાળી ગયા : ત્રણ વર્ષમાં સાતમી વખત ચોરી

તળાજા: તળાજાથી ચારેક કિમી  દૂર પાલિતાણા રોડ પર આવેલ ભીકડાવાળા ખોડિયાર માતા મંદિરના ગત રાત્રે તાળા તૂટ્યા હતા. તસ્કરોએ માતાજીને ચડાવેલ છત્તર અને દાન પેટી તોડીને રોકડ રકમની ચોરી કરી હતી.અહીંના સેવક ધરમશીભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે તસ્કરોએ અહીંના સીસીટીવી કેમેરાના વાયર તોડી નાખ્યા હતા. એક કેમેરો ભેગા લેતા ગયા હતા.

મંદિરના મુખ્ય દરવાજાના સ્ટીલના સળિયા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. એ જોતાં તસ્કર પતલા બાંધાનો અથવા નાની ઉંમરનો હોવો જોઈએ.એટલું જ નહીં મંદિરની સામે વાડીમા દારૂના ગ્લાસ અને બાઈટિંગ માટે શીંગના પડિકા પણ જોવા મળ્યા હતા. વહેલી સવારે 6.30 આસપાસ પૂજારીને ખબર પડતાં તળાજા પોલીસને જાણ કરવામાં આવી હતી .તેમ છતાંય પોલીસ દ્વારા સત્તાવાર રીતે કોઈ જ કાર્યવાહી કરી નહોતી.

છેલ્લા ત્રણેક વર્ષમાં આ જ મંદિરમાં આજની ચોરી મળી કુલ 7 વખત ચોરી થઈ છે.છતાંય એકેય વખત ચોરીનો ગુનો નોંધાયો નથી અને તસ્કર પકડાયો નથી.

અહીં એક સંત રહેતા અને સેવા પૂજા કરતા હતા.એ સંતને પણ કેટલાક અજાણ્યા ઈસમો રાત્રે આવીને પરેશાન કરતા હોય તેઓ અહીંથી ચાલ્યા ગયા છે.

 તળાજાના ડુંગર ઉપર આવેલ ખોડિયાર મંદિરમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ મહિનાઓ વીતવા છતાંય તળાજા પોલીસે નથી ગુને નોંધ્યો કે નથી તસ્કરોને ઝડપી પાડવામાં સફળતા મેળવી.

 ઉલ્લેખનીય છે કે લાકડીયા ગામ નજીક આવેલ પ્રખ્યાત કાળિયા કૂવાની મેલડી માતા મંદિરમાં  થોડા દિવસ પહેલા 9 કિલો ચાંદીના છત્તરની ચોરીની ઘટના બની હતી.એ ચોરીનો એક શકમંદ પોલીસના હાથે લાગ્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક