મોંઘી વિમાન ટિકિટો સામે સુપ્રીમ કોર્ટની લાલઆંખ ઃ સાત દિવસમાં નિયમો જાહેર કરવા નિર્દેશ
નવી દિલ્હી, તા.17ઃ તહેવારો અને રજાનાં દિવસો દરમિયાન હવાઈ યાત્રાનાં ભાડામાં ઓચિંતા વધારા સામે સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની પીઠે કહ્યું હતું કે, જો એરલાઈન્સ નિયમોનું પાલન કરતી ન હોય તો તેની ઉડાન રોકી દેવામાં આવે. યાત્રીઓનાં હિતમાં વ્યવસ્થા તો બનાવવામાં આવી છે પણ તેનાં પાલન અને નિયમન અંગે હજી સુધી સ્થિતિ સાફ નથી.
સુપ્રીમ કોર્ટે સોમવારે હવાઈભાડાંના નવા નિયમો માટે આખરીનામું આપતાં સાત દિવસમાં નિયમો નક્કી કરવા નિર્દેશ આપ્યો હતો. જો એરલાઈન્સ કંપનીઓ પાલન ન કરે તો તેમનાં વિમાનો ઊડવા ન દઈને ઊભા રાખી દેવાની તાકીદ
કરી હતી.
જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે મુસદ્દા નિયમોને અંતિમ રૂપ આપવા ત્રણ અઠવાડિયાનો સમય માગ્યો હતો. હવે સાતમી નવેમ્બરના સુનાવણી થશે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ કૌશિકને જણાવ્યું હતું કે, હવાઈ ભાડા અને શુલ્ક સંબંધિત નિયમો બનાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. તેમણે અદાલતે સીલબંધ કવરમાં નિયમોનો મુસદ્દો પણ સોંપ્યો હતો. કેન્દ્રે કહ્યું હતું કે, નિયમોને આખરી ઓપ આપવામાં ત્રણેક અઠવાડિયાનો સમય લાગશે. ત્યારબાદ કોર્ટનાં વિચારાર્થે તેને રજૂ કરવામાં આવશે.
આ પહેલા અદાલતે રજાનાં દિવસો દરમિયાન હવાઈ ભાડામાં અચાનક વધારાને યાત્રીઓનું શોષણ ગણાવ્યું હતું અને એવું અવલોકન પણ કર્યુ હતું કે, એક રુટ ઉપર અલગ-અલગ એરલાઈન્સનાં ભાડામાં બહુ મોટો તફાવત પણ છે.