ડ્રોન
અને મિસાઈલથી ટર્મિનલ-1 ઉપર મચાવી તબાહી : 63થી વધારે ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દાખલ :
અમેરિકી સૈનિકોને નિશાન બનાવી કર્યો ડ્રોન હુમલો
નવી
દિલ્હી, તા. 3 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે કુવૈત ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર
મોટો હુમલો થયો હતો. ઈરાન તરફથી એરપોર્ટના ટર્મિનલ -1ને નિશાન બનાવીને મિસાઈલ અને ડ્રોન
હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું અને 63 લોકોને
ઈજા પહોંચી હતી. હજી પણ ઘણા લોકોની હાલત ગંભીર હોવાના અહેવાલ સામે આવ્યા હતા.
કુવૈતના
સ્વાસ્થય મંત્રાલય તરફથી મળેલી જાણકારી અનુસાર ઘણા લોકોને માથા અને શરીરના અન્ય ભાગમાં
ઈજા પહોંચી હતી. ઘટના બાદ સ્થળ ઉપર 25 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી અને ઘાયલોને તાકીદે
હોસ્પિટલે પહોંચાડવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. હુમલાથી એરપોર્ટના ટર્મિનલ-1ને
ભારે નુકસાન પહોંચ્યું હતું. આ હુમલા બાદ સાવધાનીના ભાગ રૂપે થોડા સમય માટે એરપોર્ટ
ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો.
આ બનાવ
પહેલા અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું હતું કે ઈરાને કુવૈતમાં રહેલા અમેરિકી
સૈનિકો ઉપર ફરીથી ડ્રોન હુમલા કર્યા હતા. જો કે તમામ હુમલા નાકામ કરવામાં આવ્યા હતા.
ગલ્ફ ન્યુઝના એક રિપોર્ટ અનુસાર કુવૈતના રક્ષા મંત્રાલય તરફથી પણ હુમલાની પુષ્ટિ કરવામાં
આવી હતી. મંત્રાલયના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ સઉદ અબ્દુલ અજીજ અલ ઓતૈબીએ હુમલાને ઈરાનની
અપરાધિક આક્રમકતા ગણાવી હતી અને કહ્યું હતું કે એરપોર્ટ પરિસરને ગંભીર નુકસાન પહોંચ્યું
છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.