ચાર શખસે જાનથી મારી નાખવાની ધમકી આપી ; ફરિયાદ બાદ છૂટાછેડા પણ થઈ ગયા
જેતપુર, તા.31 : શહેરના જૂના
પાંચપીપળા રોડ પર આવેલી શ્રીપાર્ક સોસાયટીમાં પત્ની સાથે અનૈતિક સંબંધો ધરાવતા શખસે
પોતાના સાગરીતો સાથે મળી પતિ અને તેના નાના ભાઈ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી
આપ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ અંગે જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા
પોલીસે ચાર શખસો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઘટનાના ગંભીર પ્રત્યાઘાતરૂપે
ફરિયાદી અને તેમની પત્ની વચ્ચે છૂટાછેડા પણ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
શ્રીપાર્ક સોસાયટીમાં રહેતા અને
ટાકુડીપરા મેઈન રોડ પર ‘રાજ કમલ ટેઈલર’ નામની દુકાન ચલાવતા પારસ સરવૈયા પોતાના નાનાભાઈ
યાજ્ઞિક સાથે દુકાને જવા નીકળ્યા હતા. દરમિયાન મોબાઇલનું ચાર્જર ઘરે ભૂલી ગયા હોવાનું
યાદ આવતા બન્ને ભાઈ પરત ઘરે આવ્યા હતા. તે સમયે તેમણે જનતાનગર વિસ્તારમાં રહેતા કિશન
બાવળીયાને તેમના ઘરમાંથી બહાર નીકળતા જોયો હતો. શંકા જતાં બન્ને ભાઈઓ ઘરના ઉપરના માળે
પહોંચ્યા હતા, જ્યાં કિશન ફરિયાદીની પત્ની રેશ્માબેન સાથે હાજર હતો. પારસભાઈએ પૂછપરછ
કરતાં કિશન ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપી તેમને લાફા મારી દીધા હતા. ત્યારબાદ તેણે
ફોન કરી પોતાના ત્રણ સાગરીતોને બોલાવ્યા હતા. ચારેય શખસે ભેગા મળી પારસભાઈ અને તેમના
ભાઈ યાગ્નિકને બેફામ ઢીકાપાટુનો માર માર્યો હતો. સાથે જ પોલીસ ફરિયાદ કરશો તો જાનથી
મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. પારસભાઈની અરજીના આધારે પોલીસે કિશન બાવળીયા
સહિત ચાર શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.