• સોમવાર, 07 જુલાઈ, 2025

રાજકોટ-જેતપુર હાઈ-વે પર રોડ નહીં તો ટોલ નહીં

કાલે રાજકોટ કોંગ્રેસ કરશે કલેક્ટર કચેરીનો ઘેરાવ : કોંગ્રેસના નેતાઓ રહેશે ઉપસ્થિત

 

રાજકોટ, તા. 6: રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે નંબર 27ની હાલત અત્યંત બિસમાર થઈ ગઈ છે. સિક્સ લેન બનાવવાની આ યોજનામાં 67 કિલોમીટરના રોડમાંથી હજુ માત્ર 20 કિલોમીટરનું જ કામ થયું છે. હાલમાં રસ્તાઓ ઠેર ઠેર ખોદી નખાયા છે. આ રસ્તા પર અસંખ્ય હેવી વ્હીકલ પસાર થતા હોવાથી ટ્રાફિક જામ, નાના-મોટા અકસ્માત સતત થાય છે. આમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ભરૂડી અને પીઠડિયા, બન્ને જગ્યાએ ટોલ ઉઘરાવાય છે ત્યારે કોંગ્રેસ દ્વારા તેના વિરોધમાં જનઆંદોલનનું રણશિંગું ફુંકાયું છે. મંગળવારે કોંગ્રેસ દ્વારા રાજકોટ-જેતપુર હાઈ-વે પર ‘રોડ નહીં તો ટોલ નહીં’ની માગ સાથે રાજકોટ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરાશે

કોંગ્રેસની હાઈવે હક્ક સમિતિ અંતર્ગત શરૂ થયેલા આ આંદોલનમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલ આંબલિયા સહિતનાં જોડાશે. આ આંદોલન અંગે જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, જાતે હાઈ-વેની સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ જે દૃશ્યો મેં જોયા છે, આપણને લાગે કે મ્યુનિસિપલ તંત્રની, મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીને તાળું મારી દેવું જોઈએ. આટલું ખાડે ગયેલું તંત્ર કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં.

જીજ્ઞેશ મેવાણીએ રાજકોટવાસીઓને અપીલ કરતા કહ્યું કે, જેમ અગ્નિકાંડના પીડિતો માટે આપણે બધા જ્ઞાતિ, ધર્મ, રાજકીય પક્ષો બધું મૂકીને એક નાગરિક તરીકે, એક રાજકોટવાસી તરીકે લડયા હતા, તે જ પ્રમાણે ‘રોડ નહીં તો ટોલ નહીં’ આંદોલનમાં પણ સૌએ સાથે મળીને જોડાવું પડશે. જો આમ કરીશું તો જ હવે આપણને કંઈ પરિણામ મળશે. તો વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાય તેવી મારી અપીલ છે.

 

આંદોલનના મુખ્ય મુદ્દા

 

- બિસ્માર અને અધૂરા હાઈ-વે પર ગેરકાયદે ટોલ વસૂલાત તાત્કાલિક બંધ કરો

- nhaiના નિયમો મુજબ ટોલ પ્લાઝાનું અંતર અને વ્યવસ્થા સુધારો.

- ટ્રાફિક વ્યવસ્થા સુધારી, અકસ્માત નિવારવા કડક પગલાં લો.

- વળતર અને ઈમર્જન્સી મેડિકલ સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાવો.

- વર્કઝોન સેફટીના નિયમો અમલમાં લાવો

ઇ-પેપરના નવા શુલ્ક