મતદાનના 100 % મેળાપકની માગ કરતી અરજીઓ ફેંસલાનો દિવસ
નવી દિલ્હી, તા. રપ : ઇવીએમ-વીવીપેટ મામલે સુપ્રીમ કોર્ટ તા.ર6ને શુક્રવારે ચુકાદો આપશે. ઇવીએમ દ્વારા થયેલા મતદાનનું વીવીપેટ સાથે 100 ટકા મેળાપક કરવાની માગ કરતી અરજીઓ કોર્ટે બુધવારે ચુકાદો અનામત રાખ્યો હતો અને ટિપ્પણી કરી હતી કે અમે ચૂંટણી પંચને કંટ્રોલ ન કરી શકીએ, માત્ર શંકાને આધારે કાર્યવાહી ન કરી શકાય.
સુપ્રીમ કોર્ટમાં ઇવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) દ્વારા થયેલાં મતદાનની પેપર ઓડિટ ટ્રેલ (વીવીપેટ) સાથે ખરાઈ કરાવવા મામલે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી પૂર્ણ થઈ છે. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી માટે તે કન્ટ્રોલિંગ ઓથોરિટી નથી અને બંધારણીય ઓથોરિટી ભારતના ચૂંટણી પંચના કામકાજને નિર્દેશિત ન કરી શકે. કોર્ટે ઇવીએમની કાર્યપ્રણાલીની કેટલીક ખાસ બાબતો અંગે બુધવારે ચૂંટણી પંચ પાસે સ્પષ્ટીકરણ માગ્યું હતું. સાથે ચૂંટણી પંચના એક ટોચના અધિકારીને બપોરે બે વાગ્યે હાજર થવા નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચના અધિકારીએ ઇવીએમ, વીવીપેટ કેવી રીતે કામ કરે છે ? તે અંગે કોર્ટમાં પ્રસ્તુતિ આપી, સવાલોના જવાબ આપ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.