નવી દિલ્હી, તા. 4 : ટી20 વિશ્વકપનો આગાઝ થવાને એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. જો કે ઘણી ટીમો એવી છે જેણે હજી સુધી સ્ક્વોડનું એલાન કર્યું નથી. આઇસીસીની મેગા ઈવેન્ટમાં આ વખતે કુલ 20 ટીમ હિસ્સો લેવાની છે. જેમાંથી ભારત, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ અને ન્યુઝિલેન્ડ સહિત 11 ટીમે સ્ક્વોડનું એલાન કરી દીધું છે જ્યારે પાકિસ્તાન, બંગલાદેશ સહિત નવ ટીમ એવી છે જેણે હજી સુધી ટીમનું એલાન કર્યું નથી. ટી20 વિશ્વકપની ટીમના એલાન માટે આઇસીસીની ડેડલાઇન 1 મેની હતી. તેમ છતાં નવ ટીમ જાહેર થઈ નથી. 25 મે સુધી તમામ સ્ક્વોડમાં બદલાવ થઈ શકશે. બાદમાં ટીમમાં કોઈ ફેરફાર કરવા માટે આઇસીસીની મંજૂરી લેવી પડશે.
અત્યારસુધીમાં ભારત, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઇંગ્લેન્ડ, નેપાળ , ન્યુઝિલેન્ડ, ઓમાન, દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ દ્વારા ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે જ્યારે બંગલાદેશ, આયર્લેન્ડ, નામીબિયા, નેધરલેન્ડ, પાપુઆ ન્યુગિની, પાકિસ્તાન, સ્કોટલેન્ડ, શ્રીલંકા અને યુગાંડા દ્વારા ટીમનું એલાન કરવામાં આવ્યું નથી. તેવામાં હવે આઇસીસી આ મુદ્દે શું નિર્ણય કરે છે તે જોવાનું રહ્યું. કારણ કે ટીમના સમયસર એલાન બાદ તેમાં ફેરફાર માટે પણ આઇસીસી દ્વારા તારીખ નક્કી કરી દેવામાં આવી છે. ત્યારબાદ કોઈપણ પ્રકારના ફેરફાર માટે આઇસીસીની મંજૂરી જરૂરી બની રહેશે.