• શનિવાર, 19 જુલાઈ, 2025

બેંગલુરુ ભાગદોડ : RCB સામે ચાલશે ક્રિમિનલ કેસ

રાજ્ય ક્રિકેટ બોર્ડ સામે પણ કાર્યવાહી : મંત્રીમંડળમાં આયોગનો રિપોર્ટ સ્વીકાર થયા બાદ નિર્ણય

 

બેંગલોર તા.17 :  ભાગદોડના બનાવમાં કર્ણાટક સરકારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (કેએસસીએ) સામે અપરાધિક મામલો દાખલ કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય મંત્રિમંડળની બેઠકમાં જસ્ટિસ માઈકલ ડીકુન્હા આયોગનો રિપોર્ટ સ્વીકાર કર્યા બાદ લેવાયો છે. આયોગના રિપોર્ટમાં ઘણી અનિયમિતતા અને ગડબડનો ખુલાસો થયો છે. જેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.

જસ્ટિસ માઈકલ ડીકુન્હાની અધ્યક્ષતામાં ગઠિત આયોગે આરસીબી અને કેએસસીએ સંબંધિત વિભિન્ન મુદ્દે ઉંડી તપાસ કરી હતી. જેમાં આર્થિક અનિયમિતતા, પ્રબંધનમાં પારદર્શકતાની કમી અને અન્ય ગંભીર ઉલ્લંઘન સામે આવ્યા હતા. જેને મંત્રિમંડળે ગંભીરતાથી લીધા છે અને રિપોર્ટને સર્વસહમતિથી સ્વીકાર કરવામાં આવ્યો છે. બેંગલોરમાં બનેલી ભાગદોડની ઘટનામાં કર્ણાટકની સરકારે આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને જ જવાબદાર ગણાવ્યું છે. બનાવ મુદ્દે જારી થયેલા રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. સાથે જ રિપોર્ટમાં ક્રિકેટર વિરાટ કોહલીના એક વીડિયોનો ઉલ્લેખ છે. ચાર જૂને આઈપીએલ ટ્રોફી જીત્યા બાદ ઉજવણી દરમિયાન મચેલી ભાગદોડમાં 11 લોકોના મૃત્યુ થયા હતા અને 50થી વધારે લોકોને ઈજા પહોંચી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાર્યક્રમના આયોજક ડીએનએ એન્ટરટેઈમેન્ટ નેટવર્ક્સ પ્રાઈવેટ લિમિટેડે પોલીસને ત્રીજી જૂને માત્ર પરેડ અંગે જાણકારી આપી હતી. જો કે ઔપચારિક અનુમતિ માગી નહોતી. અનુમતિ લેવી અનિવાર્ય છે. આવા આયોજન માટે સાત દિવસ પહેલા મંજૂરી લેવામાં આવે છે. રિપોર્ટ અનુસાર આરસીબીએ પોલીસ સાથે વિચારવિમર્શ કર્યા વિના લોકોને આમંત્રણ આપ્યું હતું. સવારે 7.01 વાગ્યે એક ફોટો પોસ્ટ થયો હતો અને તેમાં લોકો માટે ફ્રી એન્ટ્રીની વાત હતી અને જુલૂસ માટે આમંત્રણ આપ્યું હતું.

રિપોર્ટ અનુસાર ચાર જૂને આરસીબીએ એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી હતી જેમાં કોહલી જોવા મળી રહ્યો હતો. જેમાં કોહલી કહી રહ્યો છે કે આરસીબીની ટીમ બેંગલોર શહેરના લોકો સાથે જીતની ઉજવણી કરવા માગે છે. જેના પરિણામે ત્રણ લાખથી વધારે લોકો આવી ગયા હતા અને આયોજક તેમજ પોલીસ આટલી ભીડ માટે તૈયાર નહોતા. 

ઇ-પેપરના નવા શુલ્ક