બેદરકારીથી મૃત્યુના કેસમાં માતા-પિતાનો વળતરનો દાવો ફગાવ્યો
નવી
દિલ્હી, તા.3 : સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે કે રસ્તા ઉપર પોતાની જ
ભૂલથી મૃત્યુ પામનાર વ્યક્તિઓને ચુકવણી કરવા વીમા કંપનીઓ બાધ્ય નથી. રફતારના શોખિનો
અને બેદરકારીથી મનફાવે તેમ વાહન ચલાવનારાઓ માટે આ ચુકાદો બોધપાઠ સમાન છે. કારણ કે બેદરકારી
અને બેકાળજીથી વાહન અકસ્માતના સંજોગમાં વીમા વળતર નહીં મળે.
સુપ્રીમ
કોર્ટનું કહેવું છે કે સ્ટંટ કરવા દરમિયાન જે લોકો પોતાની ભૂલથી જીવ ગુમાવે છે તે લોકોને વળતર ચૂકવવા
માટે વીમા કંપની બાધ્ય નથી. એક શખસના મૃત્યુ પર કોર્ટના દરવાજે પહોંચેલા માતા-પિતાને
રાહત આપવા સુપ્રીમે ઈનકાર કર્યો હતો. 18 જૂન, ર014ના બનાવમાં એનએસ રવિશ મલ્લાસાંદ્રા
ગામથી અરાસિકરે વચ્ચે ફિએટ લીનિયાથી યાત્રા કરી રહ્યા હતા. દરમિયાન કારમાં તેમના પિતા,
બહેન અને બાળકો બેઠા હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર રવિશ ખુબ જ બેદરકારીથી ઝડપી કાર ચલાવી
રહયા હતા અને કાર પર નિયંત્રણ ગુમાવતા પહેલા તેમણે ટ્રાફિક નિયમ પણ તોડયા હતા. યાત્રા
દરમિયાન કાર રોડ ઉપર પલટી ગઈ હતી.
આ
અકસ્માતમાં રવિશનું મૃત્યુ થયું હતું. તેમના પત્ની, પુત્ર અને માતા-પિતાએ રૂ.80 લાખના
વળતરની માગ કરી હતી. પોલીસે ચાર્જશીટ દાખલ કરી અને દાવો કર્યો કે રવિશે બેદરકારીથી
કાર ચલાવતાં અકસ્માત થયો હતો. મોટર એક્સિડેન્ટલ ટ્રિબ્યુનલે તેમનો વળતરનો દાવો ફગાવી
દીધો હતો. બાદમાં મામલો કર્ણાટક હાઈકોર્ટ અને પછી સુપ્રીમ સુઘી પહોંચ્યો હતો. જેમાં
સર્વોચ્ચ અદાલતે ખૂદની ભૂલથી અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને વળતરના દાવાને ફગાવી દીધો
છે.