ટીએમસીના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે મૌલવીઓ સાથે રિબન કાપી : 2 લાખ સમર્થકો ઈંટો લઈને પહોંચ્યા : ભાજપ, તૃણમૂલ વચ્ચે શબ્દયુદ્ધ
કોલકતા,
તા.6 : પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસના સભ્ય અને સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ
કબીરે ભારે હંગામા વચ્ચે મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદ શૈલીની મસ્જિદના નિર્માણ
માટે શિલાન્યાસ કર્યો છે. ભારે સુરક્ષા વચ્ચે હુમાયુએ મંચ ઉપર મૌલવીઓ સાથે રિબન કાપી
હતી. હુમાયુએ એલાન કર્યું કે મુસ્લિમોને મસ્જિદ બનાવવાનો અધિકાર છે તેને કોઈ રોકી શકતું
નથી. અમે અહીંથી બાબરી મસ્જિદની એક પણ ઈંટ હટાવવા નહીં દઈએ, મસ્જિદની બાજુમાં એક હોસ્પિટલ
બનાવવામાં આવશે.
શિયાન્યાસ
માટે બાબરી જેવી મસ્જિદનો પાયો નાંખવા 2 લાખ જેટલા સમર્થકો ઈંટો લઈને પહોંચ્યા હતા.
કોર્ટે મસ્જિદના બાંધકામમાં દખલ કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે કાર્યક્રમ દરમિયાન
શાંતિ જાળવી રાખવાની જવાબદારી રાજય સરકારની છે. ધારાસભ્ય હુમાયુ કબીરના કાર્યક્રમ અંગે
ભાજપ અને ટીએમસી વચ્ચે શબ્દયુદ્ધ અને આરોપ-પ્રત્યારોપ ચાલ્યા હતા.
ભાજપના
નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી તેનો
ઉપયોગ રાજકીય લાભ માટે કરી રહ્યા છે. કબીરના સમર્થકો મસ્જિદના નિર્માણ માટે ઈંટો લઈને
વિસ્તારમાં ફરતા હોય છે અને કબીરનો દાવો છે કે તેમને પોલીસનો ટેકો મળી રહ્યો છે. માલવિયાએ
ચેતવણી આપી હતી કે જો પરિસ્થિતિ વણસે તો તે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 12 ને અસર કરશે જે
રાજ્યના કાયદો અને વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરશે.
ભાજપના
નેતા દિલીપ ઘોષે કહ્યું કે આ ઘટના સંપૂર્ણપણે વોટ બેંક રાજકારણનો એક ભાગ છે. ટીએમસી
ચૂંટણીને ધ્યાનમાં રાખીને સાંપ્રદાયિક તણાવ ભડકાવવાનો પ્રયાસ કરી રહી છે અને કબીરનો
ફ્રીલાન્સર તરીકે ઉપયોગ કરી રહી છે. ટીએમસીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે કબીર ભાજપ
અને આરએસએસની મદદથી જિલ્લામાં અશાંતિ ભડકાવવાની યોજના બનાવી રહ્યા છે. પાર્ટીના એક
વરિષ્ઠ નેતાએ આરોપ લગાવ્યો કે સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય ભાજપના એજન્ટ તરીકે કામ કરી
રહ્યા છે અને લોકોમાં ભડકાઉ સંદેશો ફેલાવવા માંગે છે. મુર્શિદાબાદના લોકો શાંતિપ્રિય
છે અને આવા પ્રયાસોને સમર્થન આપશે નહીં.
ઉત્તર
પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે આ બધું ટીએમસીનું યુક્તિ છે.
ત્યાં ભાજપ સરકાર સત્તામાં આવી રહી છે. જો બાબરના નામે એક પણ ઈંટ નાખવામાં આવશે તો
ભાજપ તેને ઉખેડી નાખશે. કોંગ્રેસના નેતા ઇમરાન મસૂદે કહ્યું કે મમતા બેનર્જીએ હુમાયુ
કબીરની મસ્જિદના પાયા સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.