• સોમવાર, 06 મે, 2024

રાણાવડવાળામાં સાત વર્ષ પૂર્વે યુવકની હત્યા કરી દાટી દેવાયાનો પર્દાફાશ મૃતક યુવાનની પત્ની સાથે હત્યારાને આડા સંબંધ હોઇ નડતર રૂપ થતા રહેંસી નાખ્યો’તો

પોરબંદર, તા.23 : (ફૂલછાબ ન્યુઝ) પોરબંદરની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને એવી બાતમી મળી હતી કે નજીકના રાણાવડવાળા ગામે વર્ષ 2017ની સાલમાં યુવાન ગુમ થયો છે તેની જે તે સમયે એ જ ગામમાં રહેતા એક શખ્શે ઘાતકી હત્યા કરીને તળાવ કાંઠે દાટી દીધો છે આથી પોલીસની ટીમે ત્યાં તપાસ હાથ ધરતા અને ખોદકામ કરતા માનવકંકાલ મળી આવ્યા હતા અને ગુન્હાનો ભેદ ઉકેલીને પોલીસે હત્યારાની ધરપકડ કરતા તેણે પ્રાથમિક કબુલાત આપી દીધી છે કે મરણજનારની પત્ની સાથે તેને આડાસંબંધ હતા તેથી સંબંધો બાંધવામાં આ યુવાન અડચણરૂપ સાબિત થતો હોવાથી તેને પતાવી દીધાનું જણાવતા પોલીસે રીમાન્ડની તજવીજ હાથ ધરી છે. 

બનાવની વિગત એવી છે કે પોરબંદર નજીકના રાણાવડવાળા ગામે રહેતો અને દૂધનો ધંધો કરતો પરબત ઉર્ફે ગગુ કોડીયાતર નામનો 38 વર્ષીય યુવાન 25 ડિસેમ્બર 2017ની રાત્રે આઠ વાગ્યે તેના ઘરેથી દૂધ ભરવા માટે ડેરીએ ગયો હતો અને ત્યારબાદ પરત નહીં ફરતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને તે ગુમ થઇ ગયો હોવાની નોંધ પોલીસ ચોપડે કરવામાં આવી હતી. જે તે સમયે પોલીસ દ્વારા મૃતક પરબત ઉર્ફે ગગુના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ ખાસ કોઇ વધુ વિગતો બહાર આવી ન હતી. 

 પેરોલ ફર્લો સ્કવોર્ડના સબ ઇન્સપેકટર એચ.એમ. જાડેજાને એવી બાતમી મળી હતી કે રાણાવડવાળા ગામે તળાવ પાસે એક યુવાનને વર્ષ 2017ની સાલમાં હત્યા કરીને દાટી દેવામાં આવ્યો છે. જેથી  તપાસ  કરતા રાણાવડવાળાનો યુવાન પરબત ઉર્ફે ગગુ કોડીયાતર ગુમ થયો હોવાનુ બહાર આવતા તે અંગેની તપાસ હાથ ધરીને ગ્રામ્ય ડી.વાય.એસ.પી. સુરજીત મહેડુ સહિત એસ.પી. ભગીરથાસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરતા હત્યા કરનાર રાણાવડવાળાના જ ભીખા ઉલવા નામના શખ્શનું નામ ખૂલ્યુ હતુ આથી પોલીસે આગવી ઢબે ભીખા ઉલવાની પૂછપરછ કરતા તેણે એવી કબુલાત આપી હતી કે ડિસેમ્બર 2017ની 25 ડિસેમ્બરે જ્યારે પરબત ઉર્ફે ગગુ કોડીયાતર દૂધ ભરવા માટે ગયો ત્યારે આ ભીખાએ તેને નજીકના અવાવરૂ વિસ્તારમાં કપડા વડે ટૂંપો દઇને મારી નાખ્યો હતો અને ત્યારબાદ તેની લાશને નજીકના તળાવ કાંઠે ખાડો ખોદીને દાટી દીધી હતી તેથી આ પ્રકારની કબુલાત ભીખાએ આપતા પોલીસ ચોંકી ઉઠી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક