• બુધવાર, 15 એપ્રિલ, 2026

માળિયામાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર પ્રૌઢ પર સરપંચનો હુમલો

જૂનાગઢ, તા.13 : જૂનાગઢનાં આછીદ્રા ગામે સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરવાનું મનદુ:ખ રાખી સરપંચ અને તેમના પરિવારે એક પ્રૌઢ પર હુમલો કરી સોનાના ચેઇનની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, આછીદ્રા ગામે રહેતા 53 વર્ષીય રામશીભાઈ રામભાઈ ચાંડેરાએ તે જ ગામના સરપંચ વિનુ વાંસા બારડ સામે અગાઉ ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ કરી હતી. આ બાબતની દાઝ રાખીને પ્રવીણ વાંસા બારડ, સરપંચ વિનુ વાંસા, પૂનમબેન પ્રવીણ અને વાસા કરસન બારડે એકસંપ થઈ રામશીભાઈ પર કુહાડીના હાથા અને પ્લાસ્ટિકના પાઈપ વડે જીવલેણ હુમલો

કર્યો હતો.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ રામશીભાઈના ગળામાંથી 1.20 લાખની કિંમતનો બે તોલા સોનાનો ચેઈન પણ લૂંટી લીધો હતો. હાલ આ મામલે માળિયા હાટીના પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ હુમલો અને લૂંટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક