• રવિવાર, 06 જુલાઈ, 2025

તાલાલાની વઘાસિયા હોસ્પિટલના તબીબ સામે પ્રસૂતાના મૃત્યુ મામલે નોંધાતો ગુનો

પેનલ પી.એમ.માં બેદરકારીનો રિપોર્ટ આવતા ડો.અક્ષય સામે ફરિયાદ

તાલાલા ગીર, તા.3: તાલાલા તાલુકાના પીપળવા ગીર ગામની પરિણીતા કવિબેન જયેશભાઈ નંદાણીયા ઉ.વ.30નું પ્રસુતિમાં તબીબની બેદરકારીના કારણે મૃત્યુ થયાનું ગીર સોમનાથ જીલ્લા આરોગ્ય અધિકારીએ કરેલ તપાસમાં ફલિત થતા તાલાલા પોલીસે ગુંદરણ રોડ ઉપર આવેલ વઘાસિયા હોસ્પિટલમાં પ્રેક્ટીસ કરતા ડો.અક્ષય હડીયલ સામે ગુનો દાખલ કરતા ભારે ચકચાર મચી ગઈ છે.

આ બનાવની વિગત એવી છે કે, ગત તા.25 મેના રોજ પીપળવા ગીર ગામના કવિબેન જયેશભાઈ નંદાણીયા પ્રેગ્નેન્ટ હોય વઘાસિયા પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસણી માટે ગયા ત્યારે હોસ્પિટલના તબીબ ડો.અક્ષય હડીયલે સોનોગ્રાફી કર્યા વગર નોર્મલ ડિલિવરી થઈ જશે તેમ કહેતા કવિબેન હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. સારવાર દરમિયાન અચાનક બાળકના ધબકારા ઓછા થઈ ગયાનું તેમજ મળ પી ગયાની તબીબે વાત કરી કોઈપણ તજજ્ઞ તબીબ વગર પોતાની જાતે એનેસ્થેસિયા આપી કવિબેનનું સિઝેરીયન ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ ગર્ભાશયના ભાગેથી લોહી નીકળતું હોય તેમજ તાણ આંચકી આવતા હોવાની વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈપણ ગંભીરતા લીધા વગર સારવાર ચાલુ રાખી હતી તેમજ રીપોર્ટ કર્યા વગર બ્લડ ચડાવી લાંબી સારવાર ચાલુ રાખી હતી. છેલ્લે કવિબેનની તબિયત બગડતા વેરાવળ રીફર કર્યા હતા. આ દરમિયાન કવિબેન મૃત્યુ પામ્યા હતા. તબીબની બેદરકારીના કારણે મૃત્યુ પામ્યાના આક્ષેપ સાથે તાલાલા પોલીસ તથા ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગને પતિએ ફરિયાદ કરી હતી. જે અંતર્ગત ત્રણ તબીબો દ્વારા પેનલ પી.એમ. કરાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પરિણીતાનું તબીબી બેદરકારીના કારણે મૃત્યુ થયાનું ફલિત થતા તાલાલા પીઆઈ જે.એન.ગઢવીએ મૃતકના પતિ જયેશભાઈ રામભાઈ નંદાણીયાની ફરિયાદ લઈ ડો.અક્ષય હડીયલ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક