• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026

માળિયા મિંયાણા નજીક ટ્રકની ટક્કરે બાઈક-સવાર દંપતીનું મૃત્યુ

-દરગાહે સલામ કરીને મોરબી પરત ફરી રહેલા દંપતીને નાના દહીંસરા ગામના પાટિયા નજીક અકસ્માત નડયો

મોરબી, તા.2: માળિયા (મિં.) તાલુકાના નાના દહીંસરા ગામ નજીક બાઈક અને ટ્રક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બાઈક સવાર દંપતીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળિયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના માથક ગામના રહેવાસી અબ્બાસ ઈશાભાઈ ચિંચોદરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના નાના ભાઈ રહીમભાઈ ઈશાભાઈ ચિંચોદરા અને ભાભી મેરૂનબેન મોરબી ખાતે રહેતા હતા. બંને માળિયાના મોટા દહીંસરા ગામે આવેલી કરપીર દાદાની દરગાહે સલામ કરવા ગયા હતા. દરગાહે સલામ કર્યા બાદ બંને બાઈક પર મોરબી પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજના આશરે પાંચ વાગ્યાના અરસામાં નાના દહીંસરા ગામના પાટિયા નજીક જીજે-12-બીટી-9528 નંબરના ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. ટ્રકની જોરદાર ટક્કરથી બાઈક સવાર રહીમભાઈ અને મેરૂનબેન રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં બંનેને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. અકસ્મા બાદ ટક્કર મારનાર ટ્રક પણ ઘટનાસ્થળે પડયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે માળિયા (મી.) પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક