(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.13: મહેસાણા જિલ્લાના
એશિયાના સૌથી મોટા મસાલા બજાર ગણાતા ઊંઝાના પ્રખ્યાત જીરાને સત્તાવાર જિયોગ્રાફીકલ
ઇન્ડિકેશન ટેગ એનાયત કરવામાં આવ્યો છે. ઊંઝાની વરિયાળીને પણ આ ટેગ મળ્યો છે. ઊંઝાનું
જીરું હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એક સત્તાવાર બ્રાન્ડ તરીકે ઓળખાશે.અન્ય કોઈપણ વિસ્તારનું
જીરું હવે “ઊંઝા જીરા“ના નામથી વેચી શકાશે નહીં, જે નકલી માલના વેચાણ પર રોક લગાવશે
અને ખેડૂતો તેમજ વેપારીઓને આર્થિક સુરક્ષા આપશે.
ઉલ્લેખનીય છે કે ઊંઝા યાર્ડનું
વાર્ષિક ટર્નઓવર રૂ. 4,000 કરોડથી વધુ છે, જેને આ ટેગ મળવાથી વૈશ્વિક સ્તરે વેગ મળશે.
ગુજરાતની કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ હવે ઊંઝાના જીરાને જીઆઇ ટેગ મળવાથી તેને આંતરરાષ્ટ્રીય
સ્તરે વિશેષ દરજ્જો પ્રાપ્ત થયો છે.
ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ
પટેલે જણાવ્યું હતું કે, જે રીતે અન્ય કૃષિ પેદાશોને જીઆઇ ટેગ મળવાથી વૈશ્વિક ઓળખ અને
સુરક્ષા મળી છે, તેવી જ રીતે હવે ઊંઝાના જીરાની ગુણવત્તા અને તેની મૂળ ઓળખનું રક્ષણ
થશે. ઊંઝા જીરા અને ઊંઝા વરિયાળીને જીઆઇ ટેગ મળવા મામલે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી
હર્ષભાઈ સંઘવીએ ટ્વિટ કરીને આ સિદ્ધિને ગુજરાત માટે એક ગૌરવપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવી
છે તેમજ તેમણે આ નોંધપાત્ર સિદ્ધિને શક્ય બનાવનાર દરેકને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
જીઆઇ ટેગએ એક વિશિષ્ટ ભૌગોલિક
ઓળખ છે. તે કોઈ ખાસ વિસ્તારમાં પેદા થતી પ્રોડક્ટ્સને આપવામાં આવે છે. તે ઉત્પાદનને
કાનૂની સુરક્ષા આપતો એક લોગો અથવા નામ છે.તે સાબિત કરે છે કે પ્રોડક્ટ તેની ગુણવત્તા
માટે ચોક્કસ પ્રદેશ પર નિર્ભર છે.આ ટેગ મળ્યા પછી અન્ય કોઈ વિસ્તારના લોકો તે નામનો
ઉપયોગ કરી શકતા નથી.