-નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંબાલાલના સમર્થનમાં આવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 13 ઃ ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવામાન આગાહી મામલે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે હવે તેઓ હવામાન અંગે કોઈ આગાહી કરશે નહીં. અંબાલાલ પટેલે જણાવ્યું કે વિજ્ઞાન જાથા દ્વારા વારંવાર તેમની આગાહીઓને લઈને વિવાદ ઊભા કરવામાં આવે છે. તેમના કહેવા મુજબ, દરેક આગાહી બાદ બિનજરૂરી ચર્ચાઓ અને ટીકાઓ થતી હોવાથી હવે તેઓ આ પ્રકારના વિવાદોમાં પડવા માગતા નથી.
તેમણે વધુમાં કહ્યું કે, વિવાદ કરતાં સમાજનું કલ્યાણ વધુ મહત્ત્વનું છે. તેથી હાલની પરિસ્થિતિમાં તેઓ વરસાદ અંગે કોઈ પણ આગાહી કરવા માગતા નથી. તેમણે થોડા સમય માટે આગાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
જોકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના સમર્થનમાં નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે દરેક વ્યક્તિને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે અને અંબાલાલ પટેલે પણ વર્ષોથી લોકોના હિતમાં હવામાન અંગે આગાહીઓ કરી છે. તેમણે અંબાલાલ પટેલને વિવાદોથી નિરાશ થયા વગર અગાઉની જેમ હવામાન અંગે આગાહીઓ ચાલુ રાખવાની અપીલ કરી છે.