ત્રીજા માળે ફસાયેલા લોકોને કાચ
તોડી બહાર કાઢવામાં આવ્યા, આગ લાગવાનું કારણ અકબંધ
અમદાવાદ, તા.12 : અમદાવાદના સાયન્સ
સિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલિગન્સ નામના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ અંગે
જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે બચાવ
કામગીરી હાથ ધરી હતી, જેમાં 50થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
આગની ઘટના સાયન્સ સિટી વિસ્તારમાં
આવેલા પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સના ત્રીજા માળે બની હતી. કોમ્પ્લેક્સમાંથી લિફ્ટમાં
કેટલાક લોકો ફસાયા હોવાના મેસેજ મળતાં ફાયર બ્રિગેડની આઠ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે
પહોંચી હતી. કોમ્પ્લેક્સના ત્રીજા માળે લોકો ફસાયેલા હતા અને કાચ તોડી તમામ લોકોને
બહાર કાઢવામાં આવ્યા હતાં. આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ભેગા થયા
હતાં. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી કામગીરી કરી હતી. ફાયર બ્રિગેડ
દ્વારા 50 લોકોને બચાવીને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યા હતા. આ માટે ફાયર વિભાગ
દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરાયો હતો. આગ કયા કારણોસર લાગી અને તેમાં કોઈ
જાનહાનિ કે ગંભીર ઈજા થઈ છે કે કેમ, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.