• બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026

2000થી વધુ UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ

સરકારે બેન્કોને રૂા. 2000 સુધીના વ્યવહાર પર ચાર્જ નહીં લગાડવા આદેશ કર્યો

રાહુલના પ્રહાર, વડાપ્રધાન ફરી અમેરિકી દબાણ સામે ઝૂકી ગયા, ભાજપનો પલટવાર

નવી દિલ્હી, તા. 15 : રૂા. 2000થી વધુના યુપીઆઇ ટ્રાન્ઝેક્શનો પર ચાર્જ લગાવવાની કેન્દ્ર સરકારની તૈયારીને પગલે નારાજી ફેલાઇ છે.

સરકારે બેન્કોને અને પેમેન્ટ સિસ્ટમોને રૂ-પે ડેબિટ કાર્ડસ મારફત રૂા. 2000 સુધી કરાતા  યુપીઆઇ ટ્રાન્ઝેક્શનો પર કોઇ લેવી ચાર્જ નહીં લગાડવાનો આદેશ કર્યો છે. જો કે, સરકારે એ સ્પષ્ટ કર્યું નથી કે, રૂા. 2000થી વધુના વ્યવહારો પર મરચન્ટ શુલ્ક (જે વેપારીઓએ ચૂકવવાનો થશે) લાગુ થશે કે નહીં. ગઇકાલે આ સંદર્ભમાં ગેઝેટ જારી કરાયું હતું. દરમ્યાન, વેપારીઓને રૂા. 2000થી વધુના યુપીઆઇ ટ્રાન્ઝેક્શન પર કેટલો વેરો લગાવવો તેનો નિર્ણય બેન્કોના પ્રતિનિધિઓ, સર્વિસ પ્રોવાઇડરો અને વિવિધ એસોસીએશન લેશે. યુપીઆઇ ટ્રાન્ઝેક્શનો પર ચાર્જ લેવાની તૈયારીને લઇને કોંગ્રેસે આજે મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સરકાર રૂા. 2000થી વધુના યુપીઆઇ ટ્રાન્ઝેક્શનો પર એમડીઆર લગાવવાનો માર્ગ ખોલી રહી છે.

કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્યના 65 ટકા રકમ આવા ટ્રાન્ઝેક્શનોની હોય છે. 

સરકાર અત્યારે ભલે કહેતી હોય કે આ શુલ્ક સામાન્ય ગ્રાહક પાસેથી લેવામાં આવશે નહીં, પણ આખરે તો બોજ ગ્રાહક પર જ આવશે.

રાહુલે આક્ષેપ કર્યો હતો કે, અમેરિકી પેમેન્ટ કંપનીઓ સામે મોદી સરકાર ઝૂકી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેડ ડીલની માફક આ કિસ્સામાં પણ અમેરિકાના દબાણને તાબે થઇ ગયા. કોમ્પ્રોમાઇઝ્ડ પીએમે અમેરિકી દબાણ સામે શરણાગતિ સ્વીકારી.

બીજી તરફ ભાજપે કહ્યું હતું કે, કોંગ્રેસની ‘જૂઠની દુકાન’ યુપીઆઇ ચાર્જ અંગે ‘ફેક ન્યૂઝ’ ફેલાવી રહી છે. આ ચાર્જ ગ્રાહકો પર નહીં લાગે.

ઇ-પેપરના નવા શુલ્ક