• સોમવાર, 06 એપ્રિલ, 2026

રસ્તા ખોદી નાંખ્યા પછી એક માસથી કામ શરૂ ન થતા

જૂનાગઢના જોષીપરાના શાંતેશ્વર મુખ્ય માર્ગ પર રહીશો દ્વારા ચક્કાજામથી દોડધામ

પાણી,ગેસ અને 11 કેવી લાઇનનું કામ હજુ બાકી

જૂનાગઢ, તા.4 : જૂનાગઢ મહાનગરપાલિકાના અણઘણ વિકાસ કામોથી નગરજનોમા રોષ ઉઠયો છે. આજે જોષીપરાના શાંતેશ્વર વિસ્તારવાસીઓએ એક માસથી ખોદેલા રસ્તાનું કામ શરૂ ન થતાં ચક્કાજામ કરતા મનપાતંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

જોષીપરાના શાંતેશ્વર મુખ્ય માર્ગમાં પાણીની પાઇપલાઇન, ગેસ લાઇન અને જીઇબીની 11 કેવી લાઈન પાથરવા માટે એક માસ પહેલા આ મુખ્ય માર્ગને દોઢ થી બે ફૂટ ખોદી નાખતા ગટરના ભૂંગળા અને પાણીની લાઈન તૂટી જતા આ માર્ગ પર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. મહિલા, બાળકો અને વૃદ્ધોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

આ સમસ્યા અંગે રહીશો દ્વારા વોર્ડ નંબર 6 ના ભાજપ કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલા અને મનપાના વિપક્ષી નેતા અને વોર્ડના કોર્પોરેટર લલીતભાઈ પણ સારાને વારંવાર રજૂઆત કરી હતી પરંતુ શાસક પક્ષના કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલાએ સ્પષ્ટ જણાવ્યું કે પાણીની લાઈન, ગેસ લાઇન અને 11 કેવી વીજલાઈનનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી આ માર્ગ બનશે નહીં. આ વિસ્તારના રહીશો દ્વારા ચકાજામ કરતા ભાજપના નગરસેવક પ્રવીણભાઈ વાઘેલા દોડી આવ્યા હતા અને રસ્તાનું કામ શરૂ કરાવ્યાનો દાવો કર્યો હતો જ્યારે મનપાના વિપક્ષી નેતા લલિત પણસારાએ જણાવ્યું હતું કે મનપાતતંત્રમાં પદાધિકારીઓનું અધિકારીઓ પાસે કાંઈ ઉપજતું ન હોય તેમ ઠેર ઠેર રસ્તાઓ ખોદી મહિનાઓ સુધી જેમના તેમ રાખી દેવાય છે. પરિણામે નગરજનોને પારાવાર યાતના વેઠવી પડે છે.

ઇ-પેપરના નવા શુલ્ક