• શનિવાર, 19 જુલાઈ, 2025

યુરોપમાં નોકરીની લાલચ આપી 31 લાખ પડાવી લેનાર જૂનાગઢની ત્રિપુટી સામે ફરિયાદ

-મુંબઇ- મલેશિયા રખડાવ્યા : આઠ યુવાનો સાથે છેતરપિંડી

જૂનાગઢ, તા.16: જૂનાગઢની ટોળકીએ વિદેશમાં નોકરી કરવા ઇચ્છુક લોકોને યુરોપના અલ્બેનીયામાં નોકરી અપાવી દેવાની લાલચ આપી આઠ લોકોને ફસાવી રૂ.31 લાખ પડાવી લીધાની ‘સી’ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

જૂનાગઢના મધુરમમાં રહેતા અને અભ્યાસ કરતા ભૂમિત રમેશભાઇ ગોહેલ સહિત આઠ લોકોને વિદેશમાં નોકરીની લાલચ આપી, જૂનાગઢના નિહાર પ્રવિણભાઇ જાની, જામકાના મનોજ જીતેન્દ્ર રાવલ અને જૂનાગઢના કેશુ નાથા કેશવાલાએ બેરોજગારો પાસેથી રૂ.3થી 4 લાખ ઉઘરાવ્યા હતા.

ભૂમિત પાસેથી રૂ.3 લાખ જયદીપ હરસુખ મેવાડા પાસેથી રૂ.3 લાખ 70 હજાર, મેવાડા નીતિન કાન્તીભાઇ પાસેથી રૂ.4.70 લાખ, મેવાડા સુમિત સંજયભાઇ પાસેથી પાંચ લાખ, મેવાડા વિશાલ માધાભાઇ પાસેથી રૂ.4.70 લાખ, વઘેરા દિપક ચંદુભાઇ પાસેથી રૂ.4.40 લાખ, મારૂ મલ્હાર કાન્તીભાઇ પાસેથી રૂ.2.80 લાખ અને મારૂ વિજય રમેશભાઇ પાસેથી રૂ.2.80 લાખ ઉઘરાવ્યા હતા.

આ આઠેય યુવાનોને યુરોપના અલ્બેનીયામાં નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી. પણ આઠ- દસ મહિના વિતવા છતાં વિદેશમાં  નોકરી માટેનો માર્ગ ન ખૂલતા આ યુવાનો છેતરાયાની શંકા ઉપજી હતી.

બાદમાં વિદેશ જતા યુવાનોને વળાવવા તેમના પરિવારજનો મુંબઇ ગયા હતા. ત્યાં એજન્ટો પાસે ઓફરલેટર તથા ટિકિટની માંગણી કરતા ત્રણ દિ’માં આવી જશે તેમ કહેતા મુંબઇમાં દિવસો કાઢતા પોતાની પાસે નાણાં પુરા થઇ ગયા હતા અને આપેલ મુદત પણ પુરી થઇ છતાં ઓફરલેટર કે ટિકિટ આપ્યા ન હતા.

મુંબઇમાં હારેલા અને થાકેલા યુવાનોને ત્યાંથી વિમાન માર્ગે બેંગ્લોર મોકલ્યા હતા. ત્યાંથી મલેશિયા મોકલ્યા હતા. ત્યાંથી મુંબઇ વાયા શ્રીલંકા કોલંબોની ફલાઇટની ટિકિટ બતાવતા આ ટિકિટ કન્ફર્મ હોવાનું જાણવા મળતા હેરાન-પરેશાન થઇ, અંતે પરત ફર્યા હતા.

આઠેય લોકોએ નાણાં પરત માંગતા મુદત ઉપર મુદત મળી હતી અને અંતે જૂનાગઢ ‘સી’ ડિવિઝનમાં ત્રણ સામે  ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક