ભારત-કૅનેડાના સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત ગણી શકાય એવી ઘટના હાલમાં બની છે. રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)ના કમિશનર માઈક ડુહેમે કહ્યું છે કે, કૅનેડામાં ભારત સરકાર સાથે સંકળાયેલી કોઈ ગુપ્ત ગતિવિધિઓના કોઈ પુરાવા નથી. હજી 18 મહિના પહેલાં માઈક ડુહેમે ખાલિસ્તાની તરફી હરદીપાસિંહ નિજ્જરની હત્યા મામલે ભારતીય એજન્સીઓ તથા ભારત સરકારના એજન્ટો પર ગંભીર આરોપો મૂક્યા હતા. તત્કાલીન કૅનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને પોતાનાં રાજકીય હિત ખાતર ખાલિસ્તાની તરફી કૅનેડિયન રાજકારણીઓને ખુશ કરવા રાજદ્વારી અને દ્વિ-પક્ષી સંબંધોને દાવ પર મૂક્યા હતા. કૅનેડામાં ગયા વર્ષે માર્ચ મહિનામાં ચૂંટાઈ આવેલા વડા પ્રધાન માર્ક કાર્નીએ ભારત સાથે બગડેલા સંબંધો સુધારવાની દિશામાં આવકારદાયક પગલાં લીધાં, તેનું આ આગામી પ્રકરણ છે. કૅનેડિયન પોલીસ વડાએ એ વાત પણ સ્પષ્ટ કરી છે કે, ભારત સહિત અન્ય કોઈ દેશ વિરુદ્ધ વિદેશી હસ્તક્ષેપના કોઈ નક્કર પુરાવા નથી.
બહુ
લાંબા સમય સુધી કૅનેડાએ ખાલિસ્તાની અંતિમવાદીઓને દ્વિ-પક્ષીય સંબંધો પર પ્રભાવ પાડવાની
તક આપી હતી. કૅનેડામાં શીખ સમુદાય મોટી સંખ્યામાં છે, પણ તેમાં આ અલગતાવાદીઓનું પ્રમાણ
બહુ નાનું છે. વળી, કૅનેડાએ પોતાની ધરતીનો ઉપયોગ ખાલિસ્તાનીઓના દુપ્રચાર, ભંડોળ એકત્ર
કરવું અને ભારત પ્રત્યે આતંકવાદ કહી શકાય એ કક્ષાની પ્રવૃત્તિઓ માટે કરવા દીધો. સજા
ભોગવનારા આતંકવાદીઓના પોસ્ટર દર્શાવવા અને 1985માં ઍર ઇન્ડિયાના વિમાનને બૉમ્બથી ઉડાડી
નાખવાની ઘટનાની ઉજવણી કૅનેડામાં બેફામ થતી રહી. આ બૉમ્બિંગમાં 329 નિર્દોષોના જીવ ગયા
હતા, જેમાં મોટા ભાગના કૅનેડિયન નાગરિકો હતા. આ ઘટનાઓને રાષ્ટ્રની સુરક્ષા સામે જોખમ
ગણવાને બદલે એ કાળની વિવિધ કૅનેડિયન સરકારોએ પોતાના રાજકીય લાભ માટે નવી દિલ્હીને વિલન
ચીતરવાનું ચાલુ રાખ્યું હતું. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તો ભારતમાં કૃષિ કાયદાના વિરોધમાં
પ્રદર્શનોને ટેકો આપી સીધો જ ભારતની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ પણ કર્યો હતો.
જોકે,
આ બધું હવે ભૂતકાળમાં જમા થઈ ગયું છે. માર્ક કાર્ની ચાલુ મહિનાની શરૂઆતમાં ભારત મુલાકાતે
આવ્યા હતા અને ચાર દિવસ મુંબઈમાં બિઝનેસ માંધાતાઓને મળ્યા હતા. બન્ને દેશો વચ્ચે દોઢેક
દાયકાથી અટકી પડેલા ઇન્ડિયા-કૅનેડા કૉપ્રિહેન્સિવ ઈકૉનોમિક પાર્ટનરશિપ પર ચર્ચા શરૂ
થવાનાં એંધાણ છે. ભારતીય વિદ્યાર્થીઓ, રોકાણકારો અને વ્યાવસાયિકોનું પ્રમાણ કૅનેડામાં
ખાસ્સું મોટું છે છતાં સ્થાનિક વોટ બૅન્કના રાજકારણને પોષવા આટલાં વર્ષો સુધી દ્વિ-પક્ષી
વેપાર, સંરક્ષણ સહકાર તથા રાજદ્વારી સંબંધોનું ગળું ઘોંટવાની નીતિ અપનાવવામાં આવી.
કાર્નીની સરકારનું ધ્યાન રોળાયેલી આ તકો તરફ ગયું અને પગલાં લેવાયાં છે. કૅનેડાએ આ
મોરચે પોતાની ગંભીરતાનો પુરાવો ખાલિસ્તાની જૂથોને આતંકવાદી સંગઠનો જાહેર કરી આપવો જોઈએ.
આ કદાચ વધુ પડતું હોય તો, કમસે કમ આ સંગઠનોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવો જોઈએ, જેથી
દ્વિ-પક્ષી સંબંધોની સકારાત્મક શરૂઆત થઈ શકે. પોતાની ધરતીનો ઉપયોગ અન્ય દેશ વિરુદ્ધ
પ્રવૃત્તિઓ કરવા પર રોક લગાડવાનું કામ સમયની માગ છે.