• રવિવાર, 04 મે, 2025

ભારત-શ્રીલંકા દોસ્તીનો નવો અધ્યાય : 7 સમજૂતી કરાર

વડાપ્રધાન મોદીનું કોલંબોમાં ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત, મિત્ર વિભૂષણ એવોર્ડથી સન્માન : ચીનને આંચકો આપતી શ્રીલંકા સરકાર, પોતાની જમીનનો ઉપયોગ ભારતના હિત વિરુદ્ધ થવા નહીં દે

ભારતે માછીમારોની મુક્તિ, તમિલોના અધિકારની કરી માગ

કોલંબો, તા.પ : ચીનને આંચકો આપતાં ભારત અને શ્રીલંકા વચ્ચે ઐતિહાસિક સંરક્ષણ, ઊર્જા સહિત 7 સમજૂતી કરાર થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે શ્રીલંકાની 3 દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે દ્વિપક્ષીય મંત્રણા બાદ અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીએ ભારતીય માછીમારોની ધરપકડનો મુદ્દો ઉઠાવી તેમની મુક્તિની માગ કરી હતી. સાથે તમિલોને સંપૂર્ણ અધિકાર મળે તેના પર ભાર મૂકયો હતો. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આશ્વાસન આપ્યું કે તે પોતાની જમીનનો ઉપયોગ કયારેય ભારતના સુરક્ષા હિતો વિરુદ્ધ થવા નહીં દે. જરૂરિયાતના સમયે ભારતની મદદ અમારા માટે ખુબ મહત્વની રહી છે. શ્રીલંકાએ ખરા સમયે મિત્રની જેમ સાથ આપવા બદલ ભારતનો આભાર માન્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત સાચા પાડોશી તરીકે દરેક પરિસ્થિતીમાં શ્રીલંકાની સાથે છે. શનિવારે સાંજે વડાપ્રધાન મોદી કોલંબોમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા.

શ્રીલંકા સરકારના ટોચના 1પ નેતાઓએ હાજર રહી કોલંબોમાં વડાપ્રધાન મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કર્યુ હતુ. પહેલીવાર બન્યું છે જ્યારે ભારત અને શ્રીલંકાએ સંરક્ષણ ક્ષેત્રે કોઈ ઔપચારિક સમજૂતી કરાર કર્યો છે. બન્ને દેશ વચ્ચે સંરક્ષણ સહયોગ ઉપરાંત ત્રિંકોમાલીને ઊર્જા હબ તરીકે વિકસીત કરવા, સામાજિક અને આર્થિક સહયોગ વગેરે અંગે કરાર થયા હતા.મોદી અને દિસાનાયકે સામપુર સૌર ઊર્જા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ હતુ. આ પહેલા રાષ્ટ્રપતિ દિસાનાયકે વડાપ્રધાન મોદીનું કોલંબોના ઈન્ડિપેન્ડેન્સ સ્કવેયર ખાતે સ્વાગત કર્યુ હતુ. શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકે વડાપ્રધાન મોદીનું મિત્ર વિભૂષણ એવોર્ડથી સન્માન કર્યુ હતું. આ એવોર્ડ બિન શ્રીલંકાઈને આપવામાં આવતો શ્રીલંકાનો સર્વોચ્ચ પુરસ્કાર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક