દાઉદી વ્હોરા સમુદાયના વિવાદમાં બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
મુંબઈ, તા. ર3 : દાઉદી વ્હોરા શિયા સમુદાયના અસલ ધર્મગુરુ
કોણ ? તે અંગે 8 વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ બોમ્બે હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે સૈયદના તાહેર ફખરુદ્દીનની એ અરજી નામંજૂર કરી છે જેમાં સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના નાસ (વારસદાર) પદને પડકારવામાં આવ્યું હતું. અરજીમાં તાહેરે દાવો કર્યો હતો કે અસલ નાસ તેઓ છે અને દાઉદી વ્હોરા સમાજની તમામ ચલ અને અચલ સંપત્તિ પર તેમનો હક છે. તેમણે કોર્ટ સમક્ષ માગ કરી હતી કે મુફદ્દલ સૈફુદીનને કોઈ પણ સંપત્તિમાં પ્રવેશવા દેવામાં ન આવે. બોમ્બે હાઈકોર્ટે તાહેરના દાવા અને માગ અંગે કાનૂની લડતમાં સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનની નાસ ઉપાધિને યોગ્ય ઠેરવી છે. ઉલ્લેખનીય છે કે દાઉદી વ્હોરા શિયા ઈસ્લામની ઈસ્માઈલી શાખામાં એક સંપ્રદાય છે જેમાં ઉત્તરાધિકારી અંગે છેલ્લા 8 વર્ષથી કાનૂની લડાઈ ચાલી રહી હતી. પ3મા દાઈ અલ-મુતલક (આધ્યાત્મિક નેતા)ની નિયુક્તિના વિવાદમાં બોમ્બે હાઈકોર્ટે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનની તરફેણમાં ચુકાદો આપ્યો છે.