3 ભારતીયની ધરપકડથી અમે અટકવાના નથી : PM ટ્રુડો
કેનેડાએ પુરાવા આપ્યા નથી, સહયોગ કરતા નથી : વિદેશમંત્રી જયશંકર
નવી દિલ્હી/ટોરન્ટો, તા.પ : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડામાં કરાયેલી હત્યા મામલે ભારત અને કેનેડા વચ્ચે માહોલ ફરી તંગ બન્યો છે. આ હત્યાના આરોપમાં કેનેડા પોલીસે 3 ભારતીયને ઝડપી લીધા બાદ ફરી એકવાર બન્ને દેશ વચ્ચે વાક્યુદ્ધ શરૂ થયું છે.
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ 3 ભારતીય નાગરિકની ધરપકડ બાદ પ્રતિક્રિયા આપી કે તપાસ ચાલુ છે અને 3 ધરપકડથી અમે અટકવાના નથી. અલગ અને સ્પષ્ટ તપાસ ધરપકડ કરાયેલા 3 આરોપી સુધી સીમિત નથી. કેનેડાને કાયદાના શાસનવાળો દેશ ગણાવતાં ટ્રુડોએ શીખ કેનેડાઈ જનતાને આશ્વાસન આપ્યું કે ઉત્પીડન સહન કરવામાં નહીં આવે. બીજીતરફ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે આ મામલે પલટવાર કર્યો કે કેનેડાએ કોઈ પુરાવા આપ્યા નથી. તેઓ ન તો કોઈ પુરાવા આપે છે અને ન તો તેમની પોલીસ અમારી એજન્સીઓ સાથે સહયોગ કરી રહી છે. ભારત પર આરોપ લગાવવો તેમની રાજકીય મજબૂરી છે. નિજ્જરની હત્યા સાથે ભારતને કોઈ લેવાદેવા નથી. કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનએ શનિવારે ટોરન્ટોમાં રોયલ ઓંટારિયો સંગ્રહાલયમાં કેનેડા શિખ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન ટ્રુડોને ટાંકીને કહ્યંy કે કેનેડા એક મજબૂત અને સ્વતંત્ર ન્યાય પ્રણાલી સાથોસાથ પોતાના નાગરિકોની સુરક્ષા માટે મૌલિક પ્રતિબદ્ધતાવાળો કાયદાને માનનારો દેશ છે. નિજ્જરની હત્યા બાદ કેનેડાના શિખ સમુદાયના અનેક લોકો પોતાને અસુરક્ષિત માને છે. પ્રત્યેક કેનેડાઈને કેનેડામાં ભેદભાવ અનો હિંસાના ખતરાથી સુરક્ષિત અને મુક્ત રહેવાનો મૌલિક અધિકાર છે.