• સોમવાર, 15 ડિસેમ્બર, 2025

સાંઢવાયાની ગૌશાળાના બીમાર ગૌવંશ નિષ્ણાત 16 પશુ ચિકિત્સકની દેખરેખમાં

પશુપાલન વિભાગની ઉચ્ચ-સ્તરીય ટીમે ઘટનાસ્થળે જઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

મગફળીના ખોળથી ફૂડ પોઈઝાનિંગ થતા 70 પશુનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન

અમદાવાદ, કોટડાસાંગાણી, તા.13 : રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે રામગર બાપુ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં શુક્રવારે સવારે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. ગાયોને ઘાસચારો અને મગફળીનો ખોળ ખવડાવ્યા બાદ એક પછી એક ગાયો તરફડીને મૃત્યુ પામતાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 70 પર પહોંચી ગયો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ છે. આ દુ:ખદ ઘટનાને ધ્યાને લઈને પશુપાલન મંત્રી જીતુ વાઘાણીએ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી  અને પરિસ્થિતિની દેખરેખ રાખવા અને ત્વરિત પગલાં લેવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓને  આદેશો આપ્યા છે. મંત્રીના આદેશ બાદ રાજકોટ જિલ્લાના 5 પશુચિકિત્સા અધિકારીઓ, 7 પશુધન નિરિક્ષકો, પશુરોગ અન્વેષણ અધિકારી, નાયબ પશુપાલન નિયામકોને મળીને કુલ 16 નિષ્ણાતોની ટીમ દ્વારા સારવારની કામગીરી રાઉન્ડ ધ કલોક શરૂ કરવામાં આવી હતી.

પશુપાલન મંત્રીના આદેશથી ગાંધીનગર ખાતેથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે, જે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે. પશુ મૃત્યુના સાચા કારણની પુષ્ટિ કરવા માટે કુલ પાંચ પશુઓનું પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન કરીને સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મૃત પશુઓને આપવામાં આવેલા ઘાસચારા, ખોળ, પાણી અને અન્ય ખોરાકના સેમ્પલ પણ જિક કચેરીએ મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ પશુમરણનું કારણ ફૂડ પોઈઝાનિંગ હોવાનું અનુમાન છે. ગૌશાળાની બાકીની ગાયોને સુરક્ષિત રાખવા નિવારાત્મક પગલા લેવામાં આવી રહ્યા છે અને અસરગ્રસ્ત ગાયોની સઘન સારવાર કરવામાં આવી રહી છે. સારવારમાં મદદ તથા વિશેષ ટિપ્પણી માટે જૂનાગઢ વેટરનરી કોલેજના પાંચ વિષય તજજ્ઞ તથા તેમની ટીમ પણ હાલ ગૌશાળા ખાતે કાર્યરત છે.

ઇ-પેપરના નવા શુલ્ક