• ગુરુવાર, 04 જૂન, 2026

મમતાની એકચક્રી પકડ સામે પડકાર

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણમૂલ કૉંગ્રસ (ટીએમસી) અને તેના સુપ્રીમો મમતા બેનરજી સામેના પડકારો દિવસોદિવસ ગંભીર બની રહ્યા છે. એક તરફ બંગાળ પણ એકચક્રી શાસન દરમિયાન ટીએમસીના નેતાઓના કથિત દમનકારી વલણની સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે, ત્યારે પક્ષની અંદર નારાજ નેતાઓ અને કાર્યકરોની બેચેની ટીએમસીના અસ્તિત્વ સામે જોખમ સર્જી રહી છે. બુધવારે જે રીતે ટીએમસીના પ9 ધારાસભ્યે વિધાનસભાના સ્પીકરને પત્ર સુપરત કરીને વિપક્ષના નેતા તરીકે ઋતબ્રત બંદોપાધ્યાયના નામની દરખાસ્ત કરી છે.  જેનો સ્પીકરે સ્વીકાર કરી લીધો છે. સ્વાભાવિક રીતે મમતાએ કાર્યકરો અને નેતાઓની નારાજગીને ખાળવા માટે પક્ષની તમામ પાંખોને વિખેરી નાખી છે. તેઓ આ સંગઠનના તમામ નેતાપદે નવેસરથી વરણી કરશે, પણ હાલે તો જણાઈ રહ્યંy છે કે, ટીએમસીમાં મોટું ભંગાણ પડી ચૂક્યું છે. આગામી દિવસોમાં મમતા કઈ રીતે આ પડકારને પહોંચી વળશે તેના પર દેશ આખાની સ્વાભાવિક રીતે નજર રહેશે. 

જોકે, આ વખતે મમતા અને ટીએમસી સામેનો પડકાર ભારે મુશ્કેલ હોવાની પ્રતીતિ કરાવે તેવા ઘટનાક્રમ આકાર લઈ રહ્યા છે. સૌથી મુશ્કેલ સમયનો સામનો કરી રહેલા ટીએમસીને એક રાખવાનું કામ દિવસોદિવસ અઘરું બનતું જાય છે.  મમતાએ આ ક્રમમાં પોતાના ધારાસભ્યોની એક બેઠક બોલાવી, તેમાં 80 સભ્યમાંથી માત્ર 20 ધારાસભ્ય જ હાજર રહ્યા હતા. ટીએમસીના બે ધારાસભ્યે બનાવટી સહીના મામલે ફરિયાદ કરી છે. તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરાઈ છે, પણ આ ફરિયાદ સાચી ઠરે તો ટીએમસી અને તેમના નેતા અભિષેક બેનરજીની મુશ્કેલીઓ વધી શકે.

દરમિયાન એક મોટા ઘટનાક્રમમાં ટીએમસીના પ9 ધારાસભ્યે અલગ ચોકો રચીને ઋતબ્રત બંદોપાધ્યાયના નામની વિપક્ષના નેતાપદ માટે દરખાસ્ત કરી છે. મમતા બેનરજીએ આ હોદ્દા માટે શોભનદેવ ચટ્ટોપાધ્યાયની પસંદગી કરી હતી. હવે આ આખો મામલો બળાબળના પારખામાં પરિણમ્યો છે. સ્પીકરે આ પત્ર સ્વીકારી લીધો છે અને નિર્ણયની જાહેરાત કરતાં મમતા કૅમ્પને ધક્કો લાગ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, બળવાખોર જૂથે પોતાના નેતા તરીકે મમતા બેનરજીનું જ નામ આપ્યું છે. તેમને અભિષેક બેનરજીની સામે વાંધો હોવાનું સામે આવ્યું છે. આમ મમતા માટે પક્ષની એકતા કે અભિષેક એમ બેમાંથી એકની પસંદગી કરવાની રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક