-તાલાલાથી 13 કિ.મી. દૂર ઉત્તર-પૂર્વમાં એપી સેન્ટર નોંધાયું, 3.7 અને 3.4 તીવ્રતાના આંચકા ભૂગર્ભમાંથી માત્ર 7.2 કિ.મી.ની ઊંડાઈએથી આવ્યા
જૂનાગઢ, તાલાલા, તા.8 : સોરઠ અને તાલાલા પંથકમાં મતદાનના બીજા દિવસે આજે સખત તાપ અને ગરમીનાં કારણે લોકો ઘરમાં હતા. આ દરમિયાન બપોરે 3:14 અને 3:18 કલાકે એમ ચાર મિનિટના ગાળામાં ધરતીકંપના ઉપરા ઉપરી બે ભારે આંચકા આવતા ભયભીત થઈ ગયેલા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. બહુમાળી ઈમારતોમાં રહેતા પરિવારમાં ભય ફરી વળ્યો છે.
સોરઠ અને તાલાલા પંથકને ધ્રુજાવનાર ધરતીકંપના બે આંચકા અંગે ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરમાંથી પ્રાપ્ત થયેલી વિગત પ્રમાણે તાલાલા પંથકમાં બપોરે આવેલા ધરતીકંપના બે આંચકાની તીવ્રતા 3.7 અને 3.4 હતી. બન્ને આંચકાનું એ.પી. સેન્ટર તાલાલા ગીરથી 13 કિ.મી. દૂર ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયું છે. ભારે તિવ્રતાથી આવેલા ધરતીકંપનો આંચકો ભૂગર્ભમાંથી માત્ર 7.2 કિ.મી.ની ઊંડાઈએથી આવ્યો હોવાથી આંચકાની અસર તાલાલા શહેર ઉપરાંત પંથકના ઉત્તર-પૂર્વ દિશામાં આવેલાં હિરણવેલ, બોરવાવ, ધાવા, ચિત્રાવડ, આંકોલવાડી સહિતનાં 30 જેટલાં ગામોમાં ઓછાવત્તાં પ્રમાણમાં થઈ હતી. આજના ધરતીકંપના આંચકાથી કોઈ નુકસાન થયું નથી.