દુષ્યંત ચૌટાલાનો રાજ્યપાલને પત્ર : ભાજપ સરકાર વિરુદ્ધ ખુલ્લો મોરચો
ચંડીગઢ, તા.9 : હરિયાણામાં 3 અપક્ષ ધારાસભ્યે ભાજપ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધા બાદ મુખ્ય લડાઈ હવે મુખ્યમંત્રી નાયબ સૈની અને જેજેપીના દુષ્યંત ચૌટાલા વચ્ચે છેડાઈ છે. ચૌટાલાએ રાજ્યપાલ સમક્ષ માગ કરી છે કે સૈની સરકાર લઘુમતીમાં છે એટલે ફલોર ટેસ્ટ કરાવો અથવા રાષ્ટ્રપતિ શાસન લાદો.
રાજ્યની નાયબસિંહ સૈની સરકાર હાલ લઘુમતીમાં છે, તેમ છતાં ટેકનિકલ કારણો (બે ફલોર ટેસ્ટ વચ્ચે 180 દિવસનો ગાળો જરૂર, કોંગ્રેસે માર્ચમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો)થી ફલોર ટેસ્ટ હાલ સંભવ ન બનતા સુરક્ષિત છે. દુષ્યંત ચૌટાલાએ કોંગ્રેસને બહારથી ટેકો આપવાનું ખુલ્લું એલાન કર્યા બાદ રાજ્યપાલને એક પત્ર પાઠવી વિધાનસભાનું સત્ર બોલાવીને ફલોર ટેસ્ટ કરાવવાની અથવા રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગ કરી છે. તેમણે રાજ્યની ભાજપ સરકાર વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનને ટેકો જાહેર કર્યો છે. ચૌટાલાએ રાજ્યપાલને જાણ કરી કે તે વર્તમાન સરકારને સમર્થન આપતા નથી. રાજ્યમાં કોઈપણ અન્ય દળ સરકાર રચે તો તેને સમર્થન છે. ગૃહની પ્રવર્તમાન સંખ્યા 88 છે જેમાં ભાજપના 40, કોંગ્રેસના 30, જેજેપીના 10, હલોપા અને ઇનેલોના એક-એક ધારાસભ્ય છે.