નવી દિલ્હી, તા. 9 : ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનાં આરોપમાં ધરપકડ કરવામાં આવેલા ત્રણ ભારતીય નાગરિકો વિશે કેનેડાએ ભારતને જાણ તો કરી છે પણ આ કેસ કોઈ પુરાવા ભારતને આપવામાં આવ્યા ન હોવાનું આજે ભારતે કેનેડાને સાફ શબ્દોમાં સંભળાવી દીધું હતું. ભારતે કહ્યું છે કે, કેનેડા તરફથી આ સંબંધમાં કોઈ ઔપચારિક સંદેશ મળ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, કેનેડા પોલીસે નિજ્જરની હત્યાનાં આરોપમાં એડમૉન્ટનમાં રહેતા ત્રણ ભારતીય નાગરિક કરણ બરાડ (22 વર્ષ), કમલપ્રીત સિંહ(22 વર્ષ) અને કરણપ્રીત સિંહ (28 વર્ષ)ની ધરપકડ કરેલી છે. શુક્રવારે તેમના ઉપર હત્યા અને કારસાનાં આરોપ મૂકવામાં આવ્યા હતાં.
આ વિશે હવે ભારતે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે, કેનેડાએ અમને ધરપકડની જાણકારી તો આપી છે પણ કોઈ ઔપચારિક સૂચના મળી નથી.