નિજ્જરની હત્યા મામલે ભારત પર આરોપો સાચા; ભારતીય ઉચ્ચાયુક્ત વર્માના પલટવાર
ઓટાવા, તા. 8 : કેનેડાને શરમ જેવું કંઈ જ નથી, તેવી પ્રતીતિ કરાતા ઘટનાક્રમમાં જસ્ટીન ટ્રુડોના દેશે વધુ એકવાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં ભારત પર મુકેલા આરોપ સાચા
ગણાવ્યા છે.
કેનેડી વિદેશમંત્રી મેલીની જોલીએ જણાવ્યું હતું કે, ભારતીય એજન્ટસે કેનેડાની ધરતી પર અમારા નાગરિકની હત્યા કરાવી હતી, તેવું અમે આજે પણ માનીએ છીએ.
બીજી તરફ કેનેડામાં ભારતીય ઉચ્ચાયુક્ત સંજયકુમાર વર્માએ કહ્યું હતું કે, ભારતનું ભવિષ્ય વિદેશી નહીં પણ ભારત જાતે નક્કી કરશે.
કેનેડી વિદેશમંત્રી જોલીએ કહ્યું હતું કે, કેનેડાની પ્રાથમિકતા દેશના નાગરિકોની રક્ષા કરવાની છે, અમે ભારત પર મુકેલા આરોપો પર મક્કમ છીએ. કેનેડા સરકારની કોઈ પણ વ્યક્તિ આ મામલે બીજું કંઈ નહીં કહે.
ભારત સાથે સંબંધો પર તેમણે જણાવ્યું હતું કે, ડિપ્લોમસી પડદાની પાછળ વધુ બહેતર હોય છે. કેનેડા પોતાના નાગરિકોની સુરક્ષા, દેશની સંપ્રભુતા જાળવવા પ્રતિબદ્ધ છે. દરમ્યાન ભારતીય ઉચ્ચાયુક્ત વર્માએ પણ કહ્યું હતું કે, ભારતની પ્રાદેશિક અખંડતા પર ખરાબ નજર નાખવાનું કૃત્ય લક્ષ્મણરેખા પાર કરવા જેવું છે, જે સહન કરી લેવાશે નહીં.