• બુધવાર, 04 માર્ચ, 2026

ખાડીમાં ફસાયેલા લોકોને સ્વદેશ લાવવા સરકારની તૈયારી

-એર ઈન્ડિયાની એક ફલાઈટ દુબઈથી દિલ્હી પહોંચી : ઈન્ડિગો જેદ્દાથી 10 ફલાઈટ સંચાલિત કરવા તૈયાર

 

 

નવી દિલ્હી, તા. 3 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારે ખાડીમાં ફસાયેલા ભારતીય નાગરીકોને સકુશળ બહાર લાવવા તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રસરકાર ભારતીયોને સ્વદેશ લાવવા માટે દૂતાવાસના સતત સંપર્કમાં છે. આ સાથે જ દેશભરની રાજ્ય સરકારોએ ખાડીમાં ફસાયેલા નાગરિકોને સહાય માટે પ્રયાસો વધારે તેજ બનાવ્યા છે. આ માટે ઈન્ડિગો જેદ્દાથી 10 ફલાઈટ સંચાલિત કરવાની તૈયારીમાં છે. જ્યારે દુબઈથી એર ઈન્ડિયાની એક ફલાઈટ 149 યાત્રીને લઈને દિલ્હી પહોંચી ગઈ હતી.

નાગરીક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં હવાઈ ક્ષેત્રની બદલતી સ્થિતિ ઉપર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ઈન્ડિગો જેદ્દાથી વિભિન્ન ભારતીય શહેર માટે 10 વિશેષ રાહત ઉડાન સંચાલિત કરવાની યોજનામાં છે. આ ઉડાન જરૂરી સ્વીકૃતિઓ અને વર્તમાન હવાઈ ક્ષેઁત્રની સ્થિતિ ઉપર નિર્ભર છે. ઈન્ડિગો યાત્રીઓની સુવિધા માટે જેદ્દા સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં છે. આ વિમાન જેદ્દાથી હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જશે.

આ દરમિયાન દુબઈમાં ફસાયેલા ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું વિમાન મંગળવારે દિલ્હી પહોંચ્યું હતું. ફલાઈટ એઆઈ916ડી સવારે 11 વાગ્યા આસપાસ દિલ્હી એરપોર્ટ ઉપર પહોંચી હતી. જેમાં કુલ 149 યાત્રી સવાર હતા. આ લોકો દુબઈમાં ફસાયેલા હતા. હવે ભારત પરત ફરતા રાહતના શ્વાસ લીધા છે. આ માટે યાત્રીઓએ સરકાર અને એરલાઈન્સનો આભાર માન્યો હતો. એર ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું હતું કે વર્તમાન સ્થિતિમાં તેની ટીમ સતત કામ કરી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક