-આખા ગાઝા ઉપર કબજો કરવાનાં ઈરાદામાં ઈઝરાયલે કરેલી ઘેરાબંધી બનાવશે માનવતાનું કબ્રસ્તાન !
નવી
દિલ્હી, તા.20: ગાઝા ફરી એકવાર માનવતાનું કબ્રસ્તાન બની ગયું છે. સંયુક્ત રાષ્ટ્રની
ચેતવણી મુજબ જો આગામી 48 કલાકમાં પર્યાપ્ત માનવીય સહાય પહોંચાડવામાં નહીં આવે તો ગાઝામાં
14,000 નવજાત બાળકો મૃત્યુ પામી શકે છે. આનું સૌથી મોટું કારણ ઇઝરાયલની 11 અઠવાડિયાથી
ચાલી રહેલી કડક ઘેરાબંધી છે. જે માત્ર ખાદ્ય સામગ્રી જ નહીં પણ તબીબી પુરવઠો પણ ગાઝામાં
પ્રવેશવા દેતી નથી.
આંતરરાષ્ટ્રીય
દબાણના પગલે ઈઝરાયેલે રવિવારે જાહેરાત કરી હતી કે તે ગાઝામાં થોડી રાહત આપશે જેથી ભૂખમરાની
સ્થિતિને ટાળી શકાય. પરંતુ યુએનના માનવતાવાદી વડા ટોમ ફ્લેચરે જણાવ્યું હતું કે આ સહાય
દરિયામાં એક ટીપા જેવી છે. સોમવારથી અત્યાર સુધી માત્ર પાંચ ટ્રક ગાઝામાં પ્રવેશ કરી
શક્યા છે, જ્યારે યુદ્ધવિરામ દરમિયાન 600 ટ્રક દૈનિક આવતા હતા.
ગાઝાની
20 લાખથી વધુ વસ્તી સંપૂર્ણપણે માનવીય સહાય પર નિર્ભર છે. યુએનના આંકડા અનુસાર, 4.5
લાખ લોકો ભૂખમરાના આરે છે અને 10 લાખ લોકો ભોજન માટે સંઘર્ષ કરી રહ્યા છે. 9,000થી
વધુ બાળકોને કુપોષણ માટે સારવાર આપવામાં આવી છે, અને હજારો ગર્ભવતી મહિલાઓ પણ કુપોષણનો
ભોગ બને છે. દરરોજ લાખો લોકો સૂપના વાટકા માટે લાંબી લાઇનમાં ઊભા રહે છે, પરંતુ મોટાભાગના
લોકો ખાલી હાથે પાછા ફરે છે.
ઇઝરાયેલ
દાવો કરે છે કે તે હમાસને દબાણ કરવા માટે આ નાકાબંધી કરી રહ્યું છે જેથી કરીને બંધકોને
મુક્ત કરી શકાય. પરંતુ આ પ્રક્રિયામાં 53,000થી વધુ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા છે, જેમાં
મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.
યુએનનું
કહેવું છે કે તેમણે એવી વ્યવસ્થાઓ બનાવી છે જે મદદને હમાસના હાથમાં જવાથી અટકાવે છે.
તેમ છતાં, ઇઝરાયલની શંકા અને નિયંત્રણની ઇચ્છા સહાયના પ્રવાહને સંપૂર્ણપણે અટકાવી રહી
છે.
ત્રણ
મુખ્ય યુરોપિયન દેશો બ્રિટન, ફ્રાન્સ અને કેનેડાએ ગાઝામાં ઇઝરાયલના વલણને ‘સંપૂર્ણપણે
અપૂરતું’ ગણાવ્યું છે અને પ્રતિબંધોની ચેતવણી આપી છે.