• રવિવાર, 01 જૂન, 2025

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા ફટકારતી જામનગર પોકસો કોર્ટ

ટ્રેનમાંથી ઝંપલાવી આત્મહત્યા કરતા સેવાભાવી વ્યક્તિએ બચાવ્યો હતો સગીરાનો જીવ : બાદમાં ખુલી હતી સમગ્ર હકીકત  

જામનગર,તા.20: જામનગરમાં ભોગ બનનારની બાજુમાં ભાડાના મકાનમાં રહેતા ધર્મેશ અમૃતલાલ જોશી ઉર્ફે ધનોએ બાજુમાં રહેતી સગીરાને તેના ઘેર રમવા આવતી ત્યારે તેની બાળાવસ્થાનો લાભ લઈ  તેની સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરી શારીરિક શોષણ કર્યાની ફરિયાદ 2021માં નોંધાઈ હતી. 

આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલી જતા અને ભોગ બનનાર, ફરિયાદી, મેડિકલ ઓફિસરની જુબાની તેમજ સરકાર પક્ષે રજૂ કરાયેલા 30થી વધુ દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ જમન ભંડેરીની દલીલો ધ્યાને લઈ ન્યાયાધીશ વી .પી. અગ્રવાલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખત કેદ ની સજા અને 10,000નો દંડ અને તે ન ભરે તો એક વર્ષની સાદી કેદની વધુ સજા તેમ જ ભોગ બનનાર વ્યક્તિને કોમ્પનસેશન સ્કીમ હેઠળ 2 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો. 

આ ઘટનામાં મહત્વની વાત એ છે કે ભોગ બનનાર પોતાના પરિવારથી કંટાળી ટ્રેનમાં બેસી નવસારી પોતાની બહેનના ઘરે જતા સમય વડોદરા નજીક ટ્રેનમાંથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.  ત્યારે એક સેવાભાવી વ્યક્તિએ તેને બચાવી લીધી હતી અને શા માટે આત્મહત્યા કરે છે? તે અંગેની પૂછપરછ કરતા ઉપરોક્ત સઘળી ઘટના ખુલવા પામી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક