સી.આર.પાટીલના સ્થાને કોણ? પ્રદેશ પ્રમુખ પદે ઓબીસી સમાજમાંથી મળી શકે છે સ્થાન, દેવુસિંહ ચૌહાણ અને મયંક નાયકનું નામ ટોચ પર
અમદાવાદ, તા.10: લોકસભાની ચૂંટણીમાં ધાર્યા પરિણામો ન મળવાના કારણે ભાજપના પ્રથમ પંકિતના નેતાઓ સમસમી ગયા છે. એનડીએના સાથી પક્ષોના સહારે નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વખત ભારતના વડાપ્રધાન પદે શપથ લીધા છે. એનડીએ ગઠબંધનના મંત્રીમંડળમાં સી.આર.પાટીલનો કેન્દ્રીય મંત્રી તરીકે સમાવેશ થતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ ખાલી થશે ત્યારે હવે ગુજરાત ભાજપનું સુકાન કોના હાથમાં સોપવામાં આવે તેવી રાજકીય અટકળો શરૂ થઇ ગઈ છે. સી.આર.પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની ટર્મ પૂર્ણ થઈ જતા હવે ભાજપ દ્વારા નવા અધ્યક્ષની શોધખોળ હાથ ધરવામા આવી છે ત્યારે હાલ કેટલાક નામો ચર્ચામાં આવ્યા છે જેમને ગુજરાત ભાજપની કમાન સોંપવામા આવે તેવું કહેવાઇ રહયુ છે.
નવસારી બેઠક પર 2009થી સતત ચોથી વખત ચૂંટણી જીતનારા સી.આર.પાટીલ 35 વર્ષની રાજકીય સફરમાં પહેલી વખત મંત્રી બન્યા છે. સી.આર.પાટીલનો મંત્રી મંડળમાં સમાવેશ થતા ગુજરાત ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર આવી શકે એમ છે. જેને લઈને હવે પ્રદેશ પ્રવક્તાથી માંડીને ભાજપના આખાય માળખામાં ધરખમ ફેરફાર થશે તેમજ હોદ્દા ભોગવનારાંઓને ઘરે બેસાડી દેવામાં આવશે તેવું કહેવાઈ રહ્યુ છે.
હાલના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના સ્થાને ઓબીસી, આદિવાસી કે ક્ષત્રિય ચહેરાને નવા પ્રદેશ પ્રમુખ માટે તક મળી શકે છે. જો પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજ અંગે વિચારણા કરવામાં આવતી હોય તો પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવાસિંહ ચૌહાણ અને મયંક નાયકનું નામ પણ ટોચ પર ચાલી રહ્યું છે. આ સાથે ગોરધન ઝડફિયાને પાટીદાર ચહેરા તરીકે સ્થાન મળી શકે છે. તેઓ સૌરાષ્ટ્રના પાટીદાર ચહેરા તરીકે સીનિયર અને અનુભવી ચહેરો છે. આ સાથે પૂર્વ મુખ્યમંત્રીનું નામ પણ ચર્ચાઈ રહ્યુ છે કેમકે, રુપાલાને જીતાડવામાં વિજય રુપાણીએ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે તેમને પણ ભાજપ તક આપી શકે છે.
જો આદિવાસી થિયરી ઉપર ભાજપ વિચારણા કરે તો પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગણપત વસાવા અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલના નામનો પણ સમાવેશ થઈ શકે છે જો કે, અત્યાર સુધીનો ભાજપનો મોટાભાગનો ઇતિહાસ એમ કહી રહ્યો છે કે જ્યારે પણ પાટીદાર મુખ્યમંત્રી હોય તેવા સંજોગોમાં ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે ત્યારે જો આ વખતે પણ ક્ષત્રિય સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષ બનાવાય તો ભાજપના અનુભવી ચહેરામાંથી પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપાસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રાસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયાસિંહ જાડેજાના નામ પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. આ તમામ અટકળો અને રાજકિય ચર્ચાઓ વચ્ચે હાલ તો નવી સરકારના ગઠન અને સો દિવસની અગ્રતામાં હાથ ધરાનાર કામગીરી પર રાષ્ટ્રીય નેતૃત્વ વ્યસ્ત રહે એમ હોવાથી મામલો જુલાઇમાં હાથ પર લેવાશે એમ સમજાય છે.