ડીડી ન્યૂઝનો લોગો ભગવો કરાતાં તૃણમૂલ સાંસદ જવાહરે કહ્યું, આ પ્રસારભારતી નહીં પ્રચારભારતી
નવી દિલ્હી, તા. 19 : સરકારી માલિકીનાં પ્રસારભારતી દ્વારા તેની હિન્દી સમાચાર ચેનલ ડીડી ન્યૂઝના લોગોનો રંગ લાલમાંથી ભગવો કરાતાં વિવાદ સર્જાયો છે.
વિપક્ષના નેતાઓ અને મીડિયા તજજ્ઞો તરફથી દૂરદર્શનનાં ‘ભગવાકરણ’ની ટીકા કરાઈ છે. કારણ કે, આ રંગ સત્તારૂઢ પક્ષ ભાજપ સાથે જોડાયેલો છે. વર્ષ 2012થી 2016 સુધી પ્રસારભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કામ કરી ચૂકેલા તૃણમૂલ કોંગ્રેસ સાંસદ જવાહર સરકારે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, આ સંસ્થા હવે ‘પ્રસારભારતી’ નહીં, પરંતુ ‘પ્રચારભારતી’ છે.
આવાં પગલાં તાનાશાહી શાસનના જ ભાગ છે, જેમાં પક્ષ અને સરકારની ઓળખ એક કરી દેવાય છે. ભગવાકરણ વિવિધ સંસ્થાઓનું થઈ રહ્યું છે, તેવા પ્રહાર તૃણમૂલ નેતાએ કર્યા હતા.
ડીડી ન્યૂઝના નવા લોગોનો રંગ લાલમાંથી કેસરી કરવાની સાથે હિન્દીમાં ‘ન્યૂઝ’ શબ્દ પણ લખાયો છે. સત્તાવાર વિજ્ઞાપનમાં જણાવાયું હતું કે, ડીડી ન્યૂઝના લોગો અને ટેકસ્ટમાં બદલાવ એક અત્યાધુનિક સ્ટૂડિયોસિસ્ટમ અને એક સંશોધિત વેબસાઈટની શરૂઆતને અનુરૂપ છે.
સોશિયલ મીડિયા અને યૂ-ટયૂબ પર પણ પ્રસારભારતીની ડીડી ન્યૂઝ ચેનલનાં પેજ પણ બદલી દેવાયાં છે