• શનિવાર, 27 જુલાઈ, 2024

સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ટૂંકમાં બનશે લંડન ઝૂ જેવું સફારી પાર્ક

100 એકરમાં વિહરતા સિંહ અને વાઘ જોવાનો પર્યટકો માણી શકશે રોમાંચ

નર્મદા, તા.11 : ગુજરાત સરકારની ‘ટ્વીન-એડવેન્ચર’ સફારીની દરખાસ્ત હવે મંજૂરી માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે પહોંચી ગઈ છે. આમાં સિંહ અને વાઘ બન્ને વાઇલ્ડ કેટ્સને રાખીને વિઝિટર્સને તેમને જોવાનો અનેરો આનંદ આપવા માટેનું પાર્ક બનાવવાનું પ્લાનિંગ હતું.

વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ યોજનામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે સિંહ અને વાઘ માટે બે અલગ-અલગ છતાં જોડાયેલા સફારી પાર્ક બનાવવાનો પ્લાનિંગ કરાયો છે, જે મુલાકાતીઓને એક જ ટ્રિપમાં 2 વાઇલ્ડ કેટ્સને જોવાનો લાહવો આપશે. એકવાર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેની મંજૂરી આપે, પછી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહો અને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયમાંથી વાઘને અહીં લાવવામાં આવશે. આ સફારી પાર્કમાં આઠ સિંહ અને આઠ વાઘ રહેશે. જેમાં દરેક પ્રજાતિના બે નર, બે માદા અને ચાર બચ્ચાનો એક પરિવાર અહીં મુકાશે. હવે અહીં પ્રાણીઓ જોવા માટે આવેલા પ્રવાસીઓ કાં તો બસ અથવા ખુલ્લી જીપની સવારીની મજા લઈ શકશે એવી પ્રાથમિક માહિતી મળી રહી છે.

વરિષ્ઠ વન અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે બે સફારી સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી કેવડિયામાં મુખ્ય નહેર તરફ 6 કિમી દૂર સ્થિત 100-હેક્ટર વિસ્તારને આવરી લેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. વાઘ અને સિંહની સફારી હાલની જંગલ સફારીનો ભાગ બનવાનો છે. આ સફારી ઝોનને દેવળિયા સફારી પાર્કની તર્જ પર ડિઝાઇન કરવામાં આવશે અને તેમાં ઝેડ.એસ.એલ. લંડન ઝૂમાં જોવા મળતા પ્રદર્શનો જેવાં જ પ્રદર્શન હશે. એટલું જ નહીં આ સિંહ સફારીનો ઉદ્દેશ્ય એ બતાવવાનો પણ છે કે જંગલનો રાજા ગીરમાં મનુષ્યો સાથે કેવી રીતે સહઅસ્તિત્વ ધરાવે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં સફારી પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ‘જંગલ સફારી માટે ટોપોગ્રાફી સારી છે અને આ વિસ્તારમાં સારી સંખ્યામાં વૃક્ષો છે. પરવાનગી માટે થોડો સમય લાગશે પરંતુ અહીં પૂર્વ કામગીરી રૂપે માર્ગો એવી રીતે ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે કે પ્રવાસીઓને પ્રાણીઓને જોવાની વધુ તક મળે. તે તેમના માટે વાઇલ્ડ લાઇફ સફારીનો સારો અનુભવ પણ હશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેનારાઓ આ સફારીની મજા માણવા માગશે.

2018માં અધિકારીઓએ કેવડિયા નજીક એક ઓપન સફારી શરૂ કરવાનું વિચાર્યું પરંતુ જંગલ સફારી કાર્યરત થયા પછી ચાર વર્ષ પછી તેને સ્થગિત કરવાનું નક્કી કર્યું હતું. વન વિભાગ વાઘ માટે ઓપન સફારીને ડાંગના ઝંખના અને જોબરી ગામોમાં 29 હેક્ટરમાં શિફ્ટ કરવા માગે છે જે શરૂઆતમાં ચિત્તા સફારી માટે નક્કી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પાછળથી 2023માં ફરીથી શરૂ થયો હતો અને હવે મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જીવાપરગામ પાસેથી દારૂ ભરેલી કાર સાથે જૂનાગઢના બે બુટલેગર ઝડપાયા ગુંદાગામ પાસેથી અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂ મળ્યો : ચાલક ફરાર July 27, Sat, 2024