લોકસભા ચૂંટણી પહેલા કર્મચારીઓને ખુશ કરે તેવું પગલું નહીં લેવાય
નવી દિલ્હી, તા.1: કેન્દ્રનાં 48.67 લાખ કર્મચારીઓ અને 67.9પ લાખ પેન્શનધારકો જેની આશા માંડીને બેઠા હતાં તેવા આઠમા પગારપંચની રચના કરવાની સરકારની કોઈ જ યોજના ન હોવાનું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.
નાણા સચિવ ટી.વી.સોમનાથને કહ્યું હતું કે, આગામી વર્ષ એટલે કે 2024માં લોકસભા ચૂંટણી પહેલા વેતન પંચની રચનાની કોઈ તૈયારી નથી. હાલ તે મુદ્દો પેન્ડિંગ પણ નથી.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં દેશની સામાન્ય ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર પોતાનાં કર્મચારીઓ અને પેન્શનધારકોને ખુશ કરવાં માટે વેતન આયોગની રચના કે તેની ભલામણોને લાગુ કરવાનાં પગલાંઓનો અસરદાર ઓજાર તરીકે ઉપયોગ કરતી આવી છે.
વર્ષ 2013નાં સપ્ટેમ્બર માસમાં કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને 2014ની સંસદીય ચૂંટણીનાં થોડા માસ પહેલા કોંગ્રેસનાં નેતૃત્વવાળી યુપીએ સરકારે 7મુ વેતન આયોગ રચ્યું હતું. જો કે તેનાથી વિપરિત ભાજપે આવું પગલું નિવાર્યુ છે. તેનાં સ્થાને નવી પેન્શન યોજનાની સમીક્ષા ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે, જે રાજ્યો અને કેન્દ્રનાં નવા કર્મચારીઓ માટે વિવાદનો વિષય બની ગઈ છે.