-4
જિલ્લામાં સિંહ નોંધાયા નથી પણ અગાઉ ત્યાં વિહર્યા હોવાના પુરાવાને ધ્યાનમાં લઈ ગણતરી
વિસ્તારમાં સમાવેશ કરાયો : CCF જૂનાગઢ
જૂનાગઢ,
વેરાવળ, તા.21 : રાજ્ય સરકારે 16મીં સિહ વસ્તી ગણતરી-2025ના આંકડાઓ જાહેર કર્યા છે
જેમાં ગુજરાતમાં એશિયાઈ સિંહોની સંખ્યા વધીને 891 થઈ જતાં વન્યપ્રેમીઓ હરખની હેલી ઉમટી
છે. રાજ્યના 11 જિલ્લાના અંદાજની તુલનાએ 7 જિલ્લામાં સિંહોનો વસવાટ હોવાનું તારણ છે.
સાસણ
વનવિભાગના અધિકારી મોહન રામે ‘ફૂલછાબ’ને જણાવ્યું હતું કે, સિંહની વસતિમાં વૃદ્ધિ અને
વન્ય સૃષ્ટિની જાળવણી સહિયારા પ્રયાસોનું પરિણામ છે. પર્યાવરણની સાથે સાસણ પ્રવાસનનું
પણ મહત્ત્વનું કેન્દ્ર બની રહ્યું છે. રાજ્ય અને કેન્દ્ર
સરકારનું
માર્ગદર્શન સતત સાંપડે છે.
વનવિભાગ
દ્વારા નિયમીત રીતે કરવામાં આવતી સિંહોની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના
પરિણામે સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લે વર્ષ 2020માં 674
જેટલા સિંહ નોંધાયાં હતાં, પાંચ વર્ષના સમયગાળામાં 217 સિંહ વધ્યાં છે. એશિયાટીક લાયનનું
એકમાત્ર વસવાટ સ્થળ ગિર જંગલ રહ્યું છે. વનવિભાગે વર્ષ 1963માં સૌપ્રથમ સિંહ વસતી ગણતરી
હાથ ધરી હતી એ સમયે સિંહોની સંખ્યા 285 નોંધાઈ હતી. બાદમાં વર્ષ 1968માં સિંહની વસતી
177 થઈ અને 1974માં તે 180 નોંધાઈ હતી બાદમાં 1979થી સિંહોની સંખ્યામાં સતત વધારો નોંધાયો
તો. 1984માં 279, 2010માં 411, 2020માં 674 થઈ હતી.
આઝાદી
બાદ સૌપ્રથમ વખત માર્ચ 2007માં છ સાવજોના શિકારની ઘટના ઘટી હતી. આ કૃત્યથી કેન્દ્ર
અને રાજ્ય સરકાર ચોંકી ઉઠી હતી અને સિંહ સરક્ષણ માટે તમામ પગલા ભરવામાં આવ્યાં હતાં.
તાજેતરમાં હાથ ધરાયેલી 16મીં સિહ વસતી ગણતરીમાં રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાઓના
35 હજાર ચો.મી વિસ્તારમાં 891 સિંહોની વસ્તી હોવાનું આજે જાહેર કરવામાં આવ્યું છે.
જૂનાગઢ
સીસીએફ રામરતન નાલાએ ‘ફૂલછાબ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં
સૌથી વધુ 339 સિંહ મળી આવ્યાં છે. ભાવનગર જિલ્લાનું શૈત્રુજી વનવિભાગ અમરેલી રેન્જ
હેઠળ આવે છે. આ શૈત્રુજી પટમાં ખુલ્લી જમીન અને વૃક્ષો આચ્છાદિત છે ઉપરાંત અમરેલી જિલ્લામાં
રોઝ, ભૂંડનું પ્રમાણ વધુ છે તેથી સિંહોને છાંયડો, શિકાર સરળતાથી મળી રહે છે જેથી અહીં
સૌથી વધુ સંખ્યામાં સિંહોનો વસવાટ જોવા મળ્યો છે.
રાજ્યના
11 જિલ્લાઓમાં સિંહોના વસવાટ તથા વિહરતા હોવાના દાવા વચ્ચે માત્ર 7 જિલ્લામાં સિંહો
કેમ ? આ મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે, સિંહ જંગલનો રાજા છે તેને રહેઠાણ અનુકૂળ જણાય
તો રહે છે નહીં તો વિહાર કરીને પોતાના પંસદગીના સ્થળોએ પરત ફરે છે જે ચાર જિલ્લામાં
સિંહ નોંધાયા નથી પણ અગાઉ ત્યાં વિહર્યા હોવાના પુરાવાને ધ્યાનમાં લઈ ગણતરી વિસ્તારમાં
તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય
છે કે, 16મી સિંહ ગણતરી 11 જિલ્લા અને 58 તાલુકામાં કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ,
સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને દ્વારકામાં સિંહોની સંખ્યા નોંધાઈ છે.
જે મુજબ સૌથી વધારે સિંહો અમરેલી રેન્જમાં 339, બીજા ક્રમે સોમનાથ રેન્જમાં 222, ત્રીજા
ક્રમે જૂનાગઢ રેન્જમાં 191, ચોથા ક્રમે ભાવનગર રેન્જમાં 116, પાંચમાં ક્રમે પોરબંદર
રેન્જમાં 16, છઠ્ઠા ક્રમે રાજકોટ રેન્જમાં 6 અને સાતમાં ક્રમે દ્વારકા રેન્જમાં 1 સિંહ
નોંધાયા છે. પોરબંદર અને રાજકોટ રેન્જમાં પ્રથમ વખત સિંહ નોંધાયા છે જે પૈકી આ રેન્જમાં
એક પણ નર સિંહ જોવા મળતો નથી. આવી જ રીતે પ્રથમ વખત દ્વારકામાં સિંહની સંખ્યા નોંધાઈ
છે જેમાં એક માત્ર નરાસિંહ ગણતરીમાં જોવા મળ્યો છે.
બરડો
ડુંગર 17 સિંહને માફક આવી ગયો !
પોરબંદરના
બરડા ડુંગર વિસ્તારમાં છેલ્લા દોઢેક દાયકાથી સિંહોના બીજા ઘરનું નિર્માણ કરવામાં આવ્યું
છે. 143 વર્ષ બાદ સ્વેચ્છાએ જંગલમાં વિહાર કરતાં સિંહોમાં પ્રથમવાર કોલંબસ નામનો સિંહ
બરડા ડુંગરમાં આવી ચડયો છે ત્યારે હાલમાં અહીં સિંહોની ગણતરી કરવામાં આવતાં નાના-મોટા
17 સિંહ હોવાનું વનવિભાગે જાહેર કર્યુ છે. વનવિભાગ દ્વારા સિંહ સરક્ષણ અને સંવર્ધન
માટે વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે જેમાં 86 જેટલા કુત્રિમ પાણીના પોઈન્ટ ઉભા
કરાયાં છે.1000 હેક્ટર વિસ્તારમાં વન્ય જીવ રહેઠાણના સુધારણાના કામો કરવામાં આવ્યાં
છે. સિંહના મોનીટરીંગ માટે 12 ટ્રેકરો, 1 વેટરનરી ડોક્ટર તથા બે લાઈવસ્ટોક ઈન્સ્પેક્ટરોની
ભરતી કરવામાં આવી છે. વધુમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવા હર્બીવોર ટ્રાન્સલોકેશન
પ્રોગ્રામ અંતર્ગત ગીરના જંગલ વિસ્તારમાંથી બરડા અભ્યારણ્ય જંગલમાં તબકકાવાર 300 વધુ
ચિત્તલોને મુક્ત કરવામાં આવ્યાં છે.