- 31 દડામાં 50ન કર્યાં બાદ 11 દડામાં 52 રન કરી રન રમખાણ સર્જ્યું
મુંબઇ તા.7: આઇપીએલના ગઈકાલના મેચમાં ટી-20 ફોર્મેટના નંબર વન બેટર સૂર્યકુમાર યાદવે પ1 દડામાં 12 ચોકકા અને 6 છકકાથી અણનમ-અદભૂત 102 રનની મંત્રમુગ્ધ કરતી ઈનિંગ રમી હતી. આથી હૈદરાબાદ સામે મુંબઇનો 7 વિકેટે શાનદાર વિજય થયો હતો. સૂર્યકુમારે તેની ઇનિંગની શરૂઆત સંભાળપૂર્વક કરી હતી કે 31 દડામાં પ0 રન પૂરા કર્યાં હતા. આ પછી તેણે ટોપ ગિયરમાં બેટિંગ કરીને બાકીના બાવન રન ફકત 11 દડામાં કરીને વાનખેડે સ્ટેડિયમ પર રન તાંડવ સજર્યું હતું. સૂર્યકુમાર અને તિલક વર્મા (37) વચ્ચે ચોથી વિકેટમાં 143 રનની અતૂટ ભાગીદારી થઇ હતી. આથી મુંબઇ ઇન્ડિયન્સે 174 રનનો વિજય લક્ષ્ય 17.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
મેચ બાદ સૂર્યકુમારે જણાવ્યું કે હું ઘણા સમયથી આ પ્રકારની બેટિંગ કરી રહ્યો છું. 14 ડિસેમ્બર બાદ મેં પહેલીવાર 20 ઓવર સુધી ફિલ્ડીંગ કરી અને 18 ઓવર સુધી બેટિંગ કરી. મને લાગે છે કે આ પ્રકારની ઇનિંગ રમીને જીત અપાવવાની સમયની માંગ હતી. ત્રણ વિકેટ પડી ચૂકી હતી અને મારે અંત સુધી રમવાનું હતું. મને ખબર હતી કે અહીં ઘણી ઝાકળ છે. આથી મારે સંભાળપૂર્વક શરૂઆત કરવી પડી.
આ સાથે જ સૂર્યકુમાર એમઆઇ તરફથી બીજી સદી કરનારો રોહિત પછીનો બીજો ખેલાડી બન્યો હતો. જયારે ટી-20 ફોર્મેટમાં તેણે 6 સદી કરીને કેએલ રાહુલ અને ઋતુરાજ ગાયકવાડની બરાબરી કરી હતી. તેનાથી આગળ હવે રોહિત (8) અને વિરાટ (9) છે.
સૂર્યકુમારના આ ઇનિંગથી પૂર્વ ખેલાડી ઇરફાન પઠાણ અને મોહમ્મદ કૈફ પ્રભાવિત થયા છે. બન્નેનું કહેવું છે કે ટી-20 વર્લ્ડ કપની ઠીક પહેલા સૂર્યકુમારનું ફોર્મ વાપસી કરવી ઘણું મહત્વનું છે. તેણે કમિન્સની ધોલાઇ કરીને બીજી ટીમના બોલરોને પણ સાવધ રહેવાનો સંદેશો આપી દીધો છે. તેની આ મેચ વિનિંગ સેન્ચૂરી તેના ચરિત્રનો પરિચય આપે છે.