-KKR ટીમની સુખદ આપવીતી
નવી દિલ્હી, તા.7: લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રવિવારે 98 રને ભવ્ય જીત મેળવનાર કોલકતા નાઇટ રાઇડર્સ ટીમ સોમવારે સાંજે કોલકતા રવાના થઈ હતી. ટીમને 7-2પ કલાકે કોલકતા પહોંચવાનું હતું પરંતુ લખનઉથી ઉપડેલી તેમની ચાર્ટર્ડ ફલાઇટ ખરાબ હવામાનને લીધે કોલકતા વિમાની મથકે લેન્ડ કરી શકી ન હતી. આથી વિમાન ગુવાહાટી તરફ રવાના કરવામાં આવ્યું. ત્યાં પણ લેન્ડિંગની શક્યતા ન જણાતા કેકેઆર ટીમની ફલાઇટ વારાણસી પહોંચી અને ખેલાડીઓએ કાશીમાં રાત ગુજારી. કેકેઆર ટીમ આને સુખદ ઘટના ગણે છે. ખેલાડીઓએ સવારે વારાણસી સ્થિત બાબા વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા અને પવિત્ર ગંગા નદીમાં નૌકાયાન કર્યું અને ઘાટ પર હર્યા-ફર્યા. કોલકતા માટે સારી વાત એ રહી હતી કે હવે પછીનો તેમનો મેચ 11મીએ છે. આથી કોલકતાના બદલે વારાણસીમાં રોકાણને લીધે તેમના અભ્યાસ સત્રને કોઈ અસર થઈ નહીં.