કોલંબો,
તા. 8 : આઈસીસી ટી20 વિશ્વકપની સાથે જ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ
પુરો થયો છે. બીજી તરફ ટી20 વિશ્વકપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ શ્રીલંકાના હેડ કોચ
ક્રિસ સિલ્વરવુડે અંગત કારણોનો હવાલો આપીને પોતાનું પદ છોડી દીધું છે. તેવામાં શ્રીલંકાના
નવા હેડ કોચ સન જયસુર્યા બનશે. હેડ તરીકે જયસુર્યાનું પહેલું અભિયાન ભારત સામેની શ્રેણી
બની શકે છે. જયસુર્યાએ પોતે પુષ્ટિ કરી છે કે તે શ્રીલંકાની ટીમનો હેડ કોચ બનવા જઈ
રહ્યો છે. ટી20 લંકા પ્રીમિયર લીગ પુરી થયા બાદ જયસુર્યા શ્રીલંકાના હેડ કોચ તરીકેનો
ચાર્જ સંભાળશે. રિપોર્ટ અનુસાર જયસુર્યા શ્રીલંકાના કાર્યકારી કોચ બનશે. જે ઈંગ્લેન્ડના
પ્રવાસ સુધી જવાબદારી સંભાળશે. શ્રીલંકા સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડના પ્રવાસે જવાનું છે.
જયસુર્યાએ
એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેને કહેવામાં આવ્યું છે કે શ્રીલંકાના હેડ કોચ પદનું
પદ સંભાળે અને આ પદ મેળવીને તેને ખુશી છે. ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં શ્રીલંકાની કેપ્ટનશિપ
કરી ચુકેલો જયસુર્યા નેશનલ સિલેક્ટર પણ રહ્યો છે. 55 વર્ષિય જયસુર્યાએ પુષ્ટી કરી છે
કે શ્રીલંકા ક્રિકેટના હેડ કોચ પદ માટે તેઓ
સંપર્ક કરવામાં આવ્યો છે. આગામી મહિને ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે જવાની છે. તેવામાં
ભારત સામેની હોમ સીરિઝ જ જયસુર્યા માટે પહેલું અભિયાન બનશે. જયસુર્યા શ્રીલંકા તરફથી
42 સદી કરી ચુક્યો છે. તેમજ 440 વિકેટ પણ લીધી છે. એપ્રિલ 2022મા સિલ્વરવુડે શ્રીલંકન
ટીમના હેડ કોચનું પદ સંભાળ્યું હતું. બીજી તરફ ટીમ ઈન્ડિયાના હેડ કોચના નામનું એલાન
હજી સુધી થયું નથી. જો કે ગૌતમ ગંભીરનું નામ નક્કી માનવામાં આવે છે. ભારતીય ટીમ વર્તમાન
સમયે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે અને હેડ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણ સાથે છે.