• શુક્રવાર, 03 મે, 2024

‘સરકાર મફત વચનો પર શ્વેતપત્ર લાવે’

આરબીઆઈના પૂર્વ ગવર્નર સુબ્બારાવ : લોકોને તેના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવો

નવી દિલ્હી, તા. 21 : રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવતી ફ્રીબીઝ એટલે કે મફતની રેવડી અંગે સરકાર દ્વારા શ્વેતપત્ર લાવવાની જરૂર છે. ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવે આ વાત કહી છે. ભૂતપૂર્વ ગવર્નરે કહ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, સરકારની જવાબદારી છે કે લોકોને આ મફત ભેટોના ફાયદા અને ગેરફાયદા વિશે જાગૃત કરે.’

તેમણે કહ્યું કે, ફ્રીબીઝ અને રાજકીય પક્ષોને આમ કરવાથી કેવી રીતે રોકી શકાય તેના પર વ્યાપક ચર્ચાની જરૂર છે. ફ્રીબીઝને બોલચાલમાં ‘રેવડી’ કહેવામાં આવે છે અને તે આપવાની પ્રથાને ‘રેવડી કલ્ચર’ કહેવામાં આવે છે.

તેમણે કહ્યું કે, ભારત જેવા ગરીબ દેશમાં સમાજના સૌથી નબળા વર્ગના લોકોને કેટલીક મફત સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સરકારની છે. ઉપરાંત, આ મફત સુવિધાઓ કેટલા સમય માટે જરૂરી છે તે તપાસો.

દુવ્વુરી સુબ્બારાવ આંધ્રપ્રદેશ કેડરના 1972 બેચના આઈએએસ અધિકારી છે. તેઓ 5 સપ્ટેમ્બર, 2008થી 4 સપ્ટેમ્બર, 2013 સુધી આરબીઆઈના 22મા ગવર્નર હતા. આરબીઆઈ છોડ્યા પછી તેઓ પહેલા સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીમાં અને પછી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં વિઝાટિંગ ફેલો રહ્યા હતા.

શ્વેતપત્ર એટલે કે વાઈટ પેપર એક અહેવાલ, માર્ગદર્શિકા, રિસર્ચ બેઝ્ડ પેપર અથવા સત્તાવાર સરકારી દસ્તાવેજ છે, તે કોઈપણ વિષય અથવા સમસ્યાના ઉકેલો અને નીતિ દરખાસ્તો સંબંધિત નિષ્ણાત વિશ્લેષણના આધારે રજૂ કરવામાં આવે છે. તે સફેદ કવરમાં બંધ હોય છે, તેથી જ તેને શ્વેતપત્ર કહેવામાં આવે છે.

ઐતિહાસિક રીતે નવી નીતિઓ અથવા કાયદાઓ રજૂ કરવા માટે સરકારો દ્વારા સામાન્ય રીતે રાજકારણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ગવર્નમેન્ટ ઈનિશિએટિવ, કોઈ યોજના અથવા પોલિસી પર લોકોના અભિપ્રાય જાણવા માટે થાય છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક