ભાજપના પલટવાર : ચૂંટણી પછી હિસાબ થશે : સિંહા, પોતાના પરિવારને જુઓ, ફડણવીસ
નવી દિલ્હી, તા. 11 : આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી મીસા ભારતીએ ગુરુવારે કહ્યું, જો અમને જનતાના આશીર્વાદ મળશે અને અમારી સરકાર આવશે તો વડાપ્રધાન મોદી સહિત ભાજપના ઘણા નેતાઓ જેલમાં હશે. તેના પર ઉપમુખ્યમંત્રી વિજય સિંહાએ કહ્યું, કોણ જેલમાં છે, કોણ જામીન પર છે અને કોણ જેલમાં જશે, દરેકનો હિસાબ ચૂંટણી પછી થશે.
ભાજપ વતી પલટવારમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, પહેલાં મીસાએ પોતાના પરિવાર વિશે વિચારવું જોઈએ. આ લોકો અનેક પ્રકારના ભ્રષ્ટાચારમાં ફસાયેલા છે.
મીસા ભારતી પાટલીપુત્ર લોકસભા સીટથી આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. પીએમ મોદીના જેલ જવા અંગે તેઓ બે વખત નિવેદન આપી ચૂક્યા છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે પહેલીવાર આ નિવેદન આપ્યું હતું. આ સાથે જ તેમણે ચૂંટણી રેલી દરમિયાન બીજી વખત આ વાત કહી. કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એન્ટોનીએ બુધવારે (10 એપ્રિલ) કહ્યું કે, નેહરુ પરિવારમાંથી કોઈ નેતા ચોક્કસપણે ઉત્તરપ્રદેશની બેઠક પરથી ચૂંટણી લડશે.