સંઘનાં મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં
ઉઠાવવામાં આવી રાષ્ટ્રીય જનસંખ્યા નીતિની માગણી
નવીદિલ્હી, તા.9: રાષ્ટ્રીય સ્વયંસેવક
સંઘનાં મુખપત્ર ઓર્ગેનાઈઝરે પોતાનાં એક લેખમાં રાષ્ટ્રીય જનસંખ્યા નીતિની માગણી કરી
છે. આમાં કહેવામાં આવ્યું છે કે, તેનાથી સુનિશ્ચિત કરી શકાશે કે જનસંખ્યા પરિવર્તન
કોઈપણ ધાર્મિક સમુદાય કે ક્ષેત્રને અસંગત રીતે પ્રભાવિત ન કરે.
આ લેખમાં જનસંખ્યા પરિવર્તનને
ધ્યાને લેતા સામાજિક અને આર્થિક અસમાનતા તથા રાજકીય સંઘર્ષની આશંકા પણ વ્યક્ત કરવામાં
આવી છે. ઓર્ગેનાઈઝરનાં લેખમાં વધતી મુસ્લિમ વસ્તી અને ઓછા જન્મદરનાં સંદર્ભમાં જનસંખ્યા
અસંતુલનનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સાથે જ તેમાં સીમાંકન દરમિયાન પશ્ચિમી અને દક્ષિણી
રાજ્ય નુકસાનની વાત કરવામાં આવી છે.
‘ડેમોગ્રાફી, ડેમોક્રેસી અને
ડેસ્ટિની’ શીર્ષક તળે પ્રસિદ્ધ કરવામાં આવેલા લેખમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે,
જનસંખ્યા વૃદ્ધિનું વધુ એક મહત્ત્વપૂર્ણ પરિમાણ ધાર્મિક અને ક્ષેત્રીય બન્ને જ દૃષ્ટિએ
અસંતુલન છે. રાષ્ટ્રીય સ્તરે આબાદી સ્થિર રહેવા છતાં આ તમામ ધર્મોમાં એકરૂપ નથી. કેટલાક
ક્ષેત્ર, ખાસ કરીને સીમાવર્તી જિલ્લાઓમાં મુસ્લિમ જનસંખ્યામાં નોંધપાત્ર વધારો થયો
છે. સીમાડાનાં રાજ્ય પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ અને ઉત્તરાખંડમાં સીમા પારથી ગેરકાનૂની
ઘૂસણખોરીનાં કારણે વસ્તીમાં અપ્રાકૃતિક વધારો પણ જોવા મળી રહ્યો છે. લોકતંત્રમાં જ્યારે
પ્રતિનિધિત્વ માટે સંખ્યા મહત્ત્વની હોય છે અને જનસંખ્યા તેની નિયતી નક્કી કરે છે.
આપણે આ પ્રવૃત્તિ પ્રત્યે વધુ સતર્ક રહેવું જોઈએ.
લેખમાં આગળ કહેવામાં આવ્યું છે
કે, રાહુલ ગાંધી જેવા રાજનેતા ક્યારેક હિન્દુઓની ભાવનાનું અપમાન કરવાનું જોખમ ઉઠાવી
શકે છે. મમતા બેનરજી ઈસ્લામવાદીઓ દ્વારા મહિલાઓ
ઉપર અત્યાચારોને સ્વીકારવા માટે પણ મુસ્લિમ કાર્ડ ખેલી શકે છે. દ્રવિડ પક્ષો જનસંખ્યા
અસંતુલન સાથે વિકસિત લઘુમતી મતબેન્કનાં એકીકરણમાં વિશ્વાસ કરીને સનાતન ધર્મને ગાળ દેવામાં
ગૌરવ અનુભવે છે. લેખમાં કહેવામાં આવ્યું છે કે, વિભાજનની ભયાનકતા સહિતના મુદ્દાઓને
તાત્કાલિક ઉકેલવા જોઈએ.