• શનિવાર, 27 જુલાઈ, 2024

કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા

અમદાવાદ, તા.11 : લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. હાલમાં જ અંબરીશ ડેરથી લઈને સી.કે ચાવડા અને અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ કોંગ્રેસ છોડીને કેસરિયો ખેસ ધારણ કરી લીધો. હવે આ લિસ્ટમાં કોંગ્રેસના વધુ એક પૂર્વ નેતા રોહન ગુપ્તાનું નામ જોડાઈ ગયું છે. દિલ્હીમાં  ભાજપ મુખ્યાલય ખાતે ભાજપ નેતા હરદીપાસિંહ પુરીના હસ્તે રોહન ગુપ્તાએ કેસરિયા કરી લીધા છે.

કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા રોહન ગુપ્તાએ અંગત કારણોસર પહેલા જ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું, તેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક પરથી લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી. જોકે પિતાની તબિયત નાદુરસ્ત હોવાનું કહીને પહેલા તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. આ બાદ રોહન ગુપ્તાએ 21 માર્ચે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પાર્ટીના જ કેટલાક નેતાઓ સામે આરોપ લગાવ્યા હતા.

રોહન ગુપ્તાએ કહ્યું કે, હું આજે ભાજપમાં જોડાઈને ગર્વ અનુભવું છું. હું દેશ માટે કંઈક કરવાની ભાવના સાથે આવ્યો છું. હું રાષ્ટ્ર નિર્માણ માટે પૂરા દિલથી  કામ કરીશ. મારા પિતા 40 વર્ષથી કોંગ્રેસમાં હતા. હું 15 વર્ષ કોંગ્રેસમાં હતો. લાલચમાં કોઈ પક્ષ છોડતું નથી. સ્વાભિમાનની વાત આવે ત્યારે નિર્ણય લેવો પડે. હું પોતે એક બિઝનેસમેન રહ્યો છું. રાષ્ટ્રવાદની વાત હોય કે સનાતન ધર્મની. કોંગ્રેસ પક્ષ આ બન્ને મુદ્દાઓથી ભટકી ગયો છે.

તેમણે કહ્યું, છેલ્લા દોઢ-બે વર્ષથી પક્ષ મુદ્દાથી દિશાહીન બની ગયો છે. કોંગ્રેસમાં કોમ્યુનિકેશન વિભાગના એક નેતા છે, જેનું નામ રામ છે પરંતુ તેઓ મને રામ મંદિરના મુદ્દે ચૂપ રહેવાનું કહે છે. જો તમારી દરેક બાબતમાં વિરોધાભાસ હોય તો તમારા પર કોણ વિશ્વાસ કરશે? હવે ભાજપ જે પણ જવાબદારી આપશે તે અમે દિલથી નિભાવીશું.

ઇ-પેપરના નવા શુલ્ક