• રવિવાર, 01 જૂન, 2025

મિનિ વાવાઝોડું : ગોંડલમાં બિલ્ડીંગના કાચ તૂટયા, રાજકોટમાં હોર્ડિગ્ઝ - વૃક્ષો ધરાશાયી

વડિયામાં ભારે પવન અને કરા સાથે વરસાદ : તોફાની પવનના કારણે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો

કોટડાસાંગાણીના વાદીપરા ગામે વીજળી પડતા 10 ઘેટાનાં મોત : લીલાખા 2, જામજોધપુર 1, ગોંડલ 0.75 ઈંચ

રાજકોટ તા.22: અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આવતીકાલ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની સાથે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સૌરાષ્ટ્ર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગોંડલ અને રાજકોટ પંથકમાં મિનિ વાવાઝોડાની માફક પવન ફૂંકાતા અનેક સ્થળો પર નુકસાનીના દૃશ્યો સામે આવ્યા હતા. તો બીજી તરફ અમરેલી અને ચોટીલામાં પણ વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે ગોંડલમાં બિલ્ડીંગના બારીના કાચ તૂટયા હતા. તો રાજકોટમાં વૃક્ષઓ અને મહાકાયી હોર્ડિંગ્ઝ ધરાશાયી થયા હતા. વડિયામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લામાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજકોટમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા શહેરભરમાં વાવાઝોડા જેવો માહોલ છવાઈ ગયો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાઈ થયા હતા. એટલું જ નહીં હોર્ડિંગ્સ પણ ઉડી ગયા હતા.

કોટડાસાંગાણી:  વાદીપરા ગામની સીમમાં વીજળી પડતાં 10 ધેટાંના મોત થયા છે. તેમજ ટીસી ઉપર વીજળી પડતા વાદીપરા ગામમાં અને સીમમાં વીજળી પુરવઠો ખોવાઈ ગયો હતો. સવારથી ગરમી અને ઉકળાટ બાદ સાંજના સમયે વરસાદ શરૂ થયો હતો. ભારે પવનના કારણે રામોદ ગામે વૃક્ષો ધરાશાયી થયા હતા. પીજીવીસીએલના થાંભલાઓ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાય ગયો હતો.

ગોંડલ: દિવસભરનાં અસહ્ય બફારા બાદ સાંજે પાંચ કલાકે વાતાવરણ પલટાયુ હતુ. મીની વાવાઝોડા સાથે ભારે પવન ફુંકાયો હતો અને તોફાની વરસાદ ત્રાટકતા માત્ર દશ મીનીટમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. મીની વાવાઝોડાનાં કારણે તુલસીબાગ,મહાદેવવાડી, મહીલાકોલેજ,પેલેસ રોડ વિસ્તારમાં તોતીંગ વૃક્ષો ધરાશાયી થયા હતા. સિવિલ હોસ્પીટલ પાસે વિજ થાંભલો પડી ગયો હતો. અનેક જગ્યાએ વિજ વાયર તુટતા વિજ પુરવઠો ખોરવાતા શહેર માં અંધકાર પટ છવાયો હતો.તોફાની વરસાદ વસસતા રાજમાર્ગોપર પાણી ફરી વળ્યા હતા. મિનિ વાવાઝોડાના કારણે શ્રી રામ સાર્વજાનિક હોસ્પિટલમાં કાચ તૂટવા લાગયા દર્દીઓમાં નાસભાગ મચી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. તેમજ ચરખડી ગામની નદીમાં પાણી વહેતા થયા હતા.

લીલાખા: લીલાખા નવાગામમાં બપોર વછી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જે બં ઇંચ જેટલો પડી જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. કમોસમી માવઠાના કારણે ખેતીપાકને ભારે નુકશાન પહોચ્યું છે.

જોમજોધપુર: આજે બપોરે ચારેક વાગ્યા પછી વાતાવરણ પલટાયુ હતું. અને ભારે પવન ફૂંકાયા પછી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અને સાંજે 4 થી 6 ના બે કલાક દરમિયાન જામજોધપુરમાં 25 મિ. મિ .એટલે કે એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત માંડાસણ, વાલાસણ, ધ્રાફા સહિત ના ગામોમાં પણ સારો વરસાદ વરસી ગયો હોવાના વાવડ મળી રહ્યા છે. શહેરમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

વડિયા: અમરેલી જિલ્લાના છેવાડાના ગ્રામીણ તાલુકા એવા વડિયા વિસ્તારમાં ઢળતી સાંજે વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ વરસાદથી વડિયાની મુખ્ય બજારોમાં પાણી પાણી થઇ ગઇ હતી. તો ગ્રામીણ વિસ્તાર એવા રામપુર તોરીમાં કરા સાથે વરસાદ પડ્યાના વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. વડિયામાં ભારે પવન સાથેના વરસાદથી ગ્રામપંચાયત પાસે આવેલા વર્ષો જુના લીમડાના વૃક્ષ ધરાશયી થયા છે તો વીજપોલ અને સોલાર પેનલોને પણ ભારે નુકશાન થયું છે.

-------

મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રોને 24ડ્ઢ7  કંટ્રોલરૂમ કાર્યરત કરવાની સૂચના આપી

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરીને યલો એલર્ટ આપેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા, રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24બાય7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે. તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા. તેમજ આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક