• રવિવાર, 01 જૂન, 2025

જામનગર પંથકમાં સાત ધાર્મિક સ્થાન દૂર કરાયા

મોડી રાત્રે ગુપ્ત રીતે ઓપરેશન પાર પડાયું: 9 હજાર સ્કવેર ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ

જામનગર, તા. 21:  જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મરીન સેન્ચ્યુરી અને ખીજડીયા બર્ડ સેન્ચુરી સહિતના વિસ્તારોમાંથી ગત મોડી રાત્રે સાત જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણોને દૂર કરવા માટેનું મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.સજ્જડ પોલીસ પહેરા હેઠળ સાત જેટલા ધાર્મિક સ્થળો સહિતના બાંધકામોને દૂર કરી લેવામાં આવ્યા હતા. અંદાજે 9,000  સ્ક્વેર ફૂટ જગ્યા ખુલ્લી કરાવી દેવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા ગુપ્ત રીતે મોડી રાત્રે પૂર્ણ કરી લેવામાં આવી હતી.

ભારતીય દરિયાઈ સુરક્ષાને સુદઢ બનાવવાના ભાગરૂપે જામનગર જિલ્લાના પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લેન્ડિગ પોઇન્ટ પાસે આવેલા અનધિકૃત ધાર્મિક દબાણોને ધ્યાનમાં લેવાયા હતા.

મરીન સેન્ચ્યુરી તથા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીની બાયો ડાયવર્સિટી તથા મેન્ગ્રુવને જોખમ રૂપ એવા અલગ અલગ સ્થળ પર આવેલા કુલ  7 અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં રાત્રે જેસીબી મશીનો, હિટાચી મશીન સહિતની મશીનરીને કામે લગાડીને મોટો કાફલો ડીમોલેશનની કાર્યવાહીમાં જોડાયો હતો. સમગ્ર ઓપરેશન ગઈકાલે મોડીરાત્રે ગુપ્ત રીતે પાર પાડી લેવામાં આવ્યું હતું. કુલ 7- જેટલા ધાર્મિક સ્થળના દબાણો દૂર કરી લેવાની કાર્યવાહી વહેલી સવાર સુધીમાં જ પૂર્ણ કરી લેવામાં આવી છે.

 જે જગ્યાએ ધાર્મિક સ્થળો હતા, તે તમામ જગ્યા પર જેસીબી વગેરે રાત્રે જ ફેરવી દઈ તમામ જગ્યા સમથળ કરીને ખુલ્લી કરાવી દેવામાં આવી છે.

 કુલ 15,400 ચોરસ ફૂટ એરિયામાં દબાણ દૂર કરવાની કાર્યવાહી  કરાઈ હતી. તેમાં અંદાજે છેલ્લા દસ વર્ષથી અંદાજે 9000 સ્ક્વેર ફૂટમાં દબાણ ખડકી દેવાયું હતું, જે તમામ દબાણો હટાવી લઇ સંપૂર્ણ જગ્યા ખુલ્લી કરાવી દેવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી જામનગર જિલ્લા પોલીસ દ્વારા ફોરેસ્ટ વિભાગની સાથે સંકલનમાં રહીને કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક