• રવિવાર, 01 જૂન, 2025

ચોમાસું કેરળ પહોંચે એ પૂર્વે સૌરાષ્ટ્રમાં વાવણીનો આરંભ

માવઠાવાળા વિસ્તારમાં ખેડૂતોએ મગફળી-કપાસનું ઓરવીને શરૂ કર્યું વાવેતર

રાજકોટ,તા.21: (ફૂલછાબ ન્યૂઝ) ચોમાસું કેરળ પહોંચે એ પૂર્વે સૌરાષ્ટ્રના ખેડૂતોએ ખરીફ મોસમના વાવેતરનો આરંભ કરી નાંખ્યો છે. કોરી જમીનમાં તો ક્યાંક માવઠાં પછી ભેજયુક્ત થયેલી જમીનમાં મગફળી અને કપાસના વાવેતર ખેડૂતોએ શરૂ કર્યા છે. કેન્દ્રએ હજુ લઘુત્તમ ટેકાનો ભાવ જાહેર કર્યો નથી પણ કિસાનોએ દર વર્ષની માફક ઓરવીને વાવણી શરૂ કરી દીધી છે. 

સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, બોટાદ, ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, ધારી ઉપરાંત મહુવા તરફના તાલુકાઓમાં માવઠાનો વરસાદ પડ્યો છે ત્યાં બધે વાવેતર શરૂ થયાં છે.એ ઉપરાંત કેનાલના પાણી પણ છોડવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સક્રિય થયા છે. ચાલુ સપ્તાહે વરસાદની આગાહી થઇ છે એટલે અનેક ખેડૂતો તેનો લાભ લેવા માટે તૈયાર છે.

વાવેતરની ગતિવિધિ પર વોચ રાખતા એક અભ્યાસુ ખેડૂત કહે છે, આરંભે મગફળી અને કપાસ બે પાક જ ખેડૂતો લે છે. સુરેન્દ્રનગર પંથકમાં કોરી  જમીનમાં બિયારણ નાંખીને પછી પાણ આપવામાં આવે છે. જોકે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં ભેજવાળી જમીનમાં વાવણી થાય છે. અનેક વિસ્તારોમાં પખવાડિયા પૂર્વે કમોસમી વરસાદ પડ્યો છે. એ કારણથી ખેડૂતો વાવણી કરી રહ્યા છે. બીજી તરફ નર્મદાની કેનાલ ખોલવામાં આવી છે તેનાથી પાણી મળતા સુરેન્દ્રનગર પંથકમાં પણ વાવેતર બે ચાર દિવસમાં શરૂ થશે. સીંગદાણાના એક વેપારી કહે છે, ચાલુ વર્ષે મગફળીનું આકર્ષણ વધારે છે એટલે બિયારણ માટે દાણાની માગમાં મોટાંપાયે વધારો દેખાય છે. ખેડૂતો બિયારણ ખરીદીને વાવણી માટે સજ્જ થઇ રહ્યા છે. ચાલુ વર્ષે મગફળીના વાવેતરમાં ચોક્કસ વધારો થશે. એની સામે કપાસનું વાવેતર ઘટવાની ધારણા છે. જોકે બન્નેમાં 15-20 ટકાનો ફેરફાર દેખાય એમ છે.

બીજી તરફ તાજેતરમાં પડેલા માવઠાં અને હજુ વરસાદની આગાહી થઇ રહી છે. કેટલાક વિસ્તારોમાં બુધવારે વરસાદ પણ પડ્યો છે. એઠલે હવે ઉનાળુ મગ, અડદ, તલ, બાજરી, ડુંગળી જેવા પાકમાં ગુણવત્તાનું અને ક્યાંક જથ્થાત્મક રીતે પણ નુક્સાન થવાની ધારણા છે.

માવઠા પછી હવે વાતાવરણમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિ અનુભવાવા માંડી છે. પાછલા પખવાડિયામાં માવઠા રૂપે ઘણો વરસાદ કેટલાક વિસ્તારોમાં થઇ ગયો છે. હવે ચાલુ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક