ઐતિહાસિક ચૂંટણી પરિણામ પછી અભૂતપૂર્વ ડ્રામા : પહેલીવાર કોઈ હારેલા મુખ્યમંત્રીએ પદ છોડવા ના પાડી : ઈન્ડિયા મોરચાનાં તમામ પક્ષો સાથે હોવાનો મમતાનો દાવો
નવી
દિલ્હી, તા.પ: પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપનાં ઐતિહાસિક વિજય બાદ તૃણમૂલ કોંગ્રેસનાં
અધ્યક્ષ મમતા બેનરજીએ અભૂતપૂર્વ ઘટનાક્રમમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાનો ઈનકાર
કરીને નવો વિવાદ અને બખેડો સર્જી દીધો છે. મમતાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છેકે, તેઓ
લોકભવન નહીં જાય અને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ પણ નહીં આપે. દેશનાં ઈતિહાસમાં પહેલીવાર
કોઈ મુખ્યમંત્રીએ ચૂંટણી હાર્યા બાદ પણ પોતાનાં પદ ઉપરથી રાજીનામુ આપવાનો ઈનકાર કર્યો
છે.
કોલકતામાં
એક પત્રકાર પરિષદ યોજીને મમતાએ કહ્યું હતું કે, હું રાજીનામુ નહીં આપું. અમે હાર્યા
નથી. હું રાજભવન નહીં જઉ, આનો તો સવાલ જ ઉઠતો નથી. હું હજી પણ કહેવા માગું છું કે અમે
ચૂંટણી નથી હાર્યા. આ અમને હરાવવાની કોશિશ છે. અધિકૃત રીતે ચૂંટણીપંચ દ્વારા તે અમને
હરાવી શકે છે પણ નૈતિક રીતે અમે ચૂંટણી જીતી ગયા છીએ. મમતાએ આગળ ગંભીર આરોપ લગાવતા
કહ્યું હતું કે, આ પરિણામ જનતાનો વાસ્તવિક જનાદેશ નથી બલ્કે એક ષડયંત્રનું પરિણામ છે.
તેમની લડાઈ ફક્ત ભાજપ નહીં બલ્કે ચૂંટણી પંચ વિરુદ્ધ પણ છે.
મમતાએ
આગળ જણાવ્યું હતું કે, હવે આ લડાઈમાં ઈન્ડિયા મોરચો પણ તેમની સાથે છે. સોનિયા ગાંધી,
રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, હેમંત સોરેને
મને ફોન કર્યા છે. ઈન્ડિયા ગઠબંધનનાં તમામ સહયોગીઓએ મને કહ્યું છે કે, તેઓ પૂરી રીતે
અમારી સાથે છે. મને લાગે છે કે, આવનારા દિવસોમાં અમારી એકતા વધુ મજબૂત બનશે. અખિલેશ
યાદવે મને કહ્યું હતું કે, શું તેઓ આજે જ મળવા આવી શકે છે? પરંતુ મેં તેમને આવતીકાલે
આવવા કહ્યું હતું. તેઓ કાલે આવશે અને એક પછી એક બધા લોકો આવશે.
તૃણમૂલ
નેતાએ આગળ કહ્યું હતું કે, મારું લક્ષ્ય સ્પષ્ટ છે. હું ઈન્ડિયા મોરચાને મજબૂત બનાવીશ.
હવે મારી પાસે કોઈ ખુરશી નથી એટલે એક સાધારણ નાગરિક છું. એટલે હવે મને એવું નહીં કહી
શકાય કે તમે ખુરશીનો ઉપયોગ કરી રહ્યાં છો. હવે હું આઝાદ પંખી છું. મેં મારી આખી જીંદગી
લોકસેવામાં લગાવી દીધી અને 15 વર્ષમાં મેં પેન્શનનો એક પૈસો પણ કાઢ્યો નથી. હું પગારનો
એક પૈસો પણ લેતી નથી પરંતુ હવે હું આઝાદ છું એટલે મારે કેટલાક કામ કરવાં છે અને હું
તે કરી લઈશ.
મમતાએ
એવો આરોપ પણ મૂક્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનાં આ ખેલમાં પંચ પણ સૌથી મોટું
ખલનાયક છે. જેણે એકતરફી કામ જ કર્યુ છે. આ બંગાળનો કાળો ઈતિહાસ છે. અમારી લડાઈ ચાલતી
રહેશે. જો કે મમતાએ પોતાની આગળની રણનીતિનો ખુલાસો નહોતો કર્યો. તેમણે કહ્યું કે, તૃણમૂલનાં
કાર્યાલયને ઘેરવા અને તેનાં ઉપર કબ્જો કરવાનો પ્રયાસ કરાયો છે. તેમણે મતગણતરી કેન્દ્ર
ઉપર મારપીટનો આરોપ પણ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, તેમને ગણતરી કેન્દ્રમાં અંદર
પ્રવેશવા દેવાયા નહોતાં.
-------
મુખ્યમંત્રી
રાજીનામું ન આપે તો શું થાય ?
જો
કોઇ મુખ્યમંત્રી રાજીનામું ન આપે, તો રાજ્યપાલ પાસે ખાસ સત્તાઓ છે. રાજ્યપાલ પહેલાં
હારેલા મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી શકે છે અને ઇનકાર કરવા પર તેઓ તાત્કાલિક
વિધાનસભા ભંગ કરવાનો આદેશ જારી કરી શકે છે. આવી સ્થિતિમાં રાજ્યપાલ મુખ્યમંત્રીને બરતરફ
કરી શકે છે. જો મુખ્યમંત્રી કોઇ કાર્યવાહી કરે છે અથવા કોઇ મોટી કટોકટી ઊભી થાય છે,
તો રાજ્યપાલ કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે. રાજ્યોમાં બંધારણીય
તંત્રની નિષ્ફળતાના કિસ્સામાં આવું થાય છે. જો કે, પશ્ચિમ બંગાળના કિસ્સામાં ચૂંટણી
પરિણામો જાહેર થઇ ગયાં છે અને હવે તે સ્પષ્ટ થઇ ગયું છે કે, રાજ્યમાં કોણ સરકાર બનાવશે.
દરમ્યાન તૃણમૂલ કોંગ્રેસ કલકતા હાઇકોર્ટમાં ચૂંટણી અંગે અરજી સહિતના કાયદાકીય વિકલ્પો
પણ લઇ શકે છે. કલમ 164 હેઠળ રાજ્યપાલ પાસે નવા મુખ્યમંત્રીની નિમણૂક અને શપથ લેવાની
સત્તા છે.